દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના મૃત્યુનું કારણ માનવીય ભૂલ હોવાનું કહેવાય છે. તેમના મૃત્યુના તપાસ માટે રચાયેલી સંસદીય સમિતિએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, ‘આઠમી ડિસેમ્બર, 2021ના રોજ થયેલા Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટના પાછળ માનવીય ભૂલનું કારણ હતું. જનરલ બિપિન રાવત તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય સશસ્ત્ર દળોના કર્મચારીઓ તમિલનાડુના કુન્નુર પાસે લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થતા મૃત્યુ થયા હતા.
સંસદમાં રિપોર્ટ રજૂ કરાયો
સંસદમાં રજૂ કરાયેલા એક રિપોર્ટમાં, સંરક્ષણ પરની સ્થાયી સમિતિએ 13મી સંરક્ષણ યોજનાના સમયગાળા દરમિયાન ભારતીય વાયુસેનાના વિમાનના અકસ્માતોની સંખ્યાના આંકડા આપ્યા હતા. કુલ 34 અકસ્માતો થયા હતા, જેમાં 2021-22માં ભારતીય વાયુસેનાના નવ વિમાન અકસ્માતો અને 2018-19માં 11 વિમાન અકસ્માતોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં ‘કારણ’ નામની કોલમ છે જેમાં અકસ્માતનું કારણ ‘માનવીય ભૂલ’ ગણાવવામાં આવ્યું છે.
- Advertisement -
રિપોર્ટમાં 33માં અકસ્માત માટેના ડેટામાં વિમાનનું નામ ‘Mi-17’ તારીખ 08/12/2021 અને કારણ ‘HE(A)’ અથવા ‘માનવીય ભૂલ (Aircrew)’ તરીકે ગણાવી છે. સંરક્ષણ મંત્રાલયે સમિતિને જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન અકસ્માતોની 34 તપાસ કરવામાં આવી છે.
ઘટના ક્યારે અને કેવી રીતે બની?
આઠમી ડિસેમ્બર 2021 એ ભારતીય સેના અને દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ હતો. આ દિવસે, ભારતીય વાયુસેનાનું Mi-17 V5 હેલિકોપ્ટર તમિલનાડુના કોઇમ્બતુરમાં સુલુર એરફોર્સ બેઝથી વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ માટે ઉડાન ભરી રહ્યું હતું. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 12 અન્ય સશસ્ત્ર દળના જવાનો આ વિમાનમાં સવાર હતા. એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી જ વારમાં હેલિકોપ્ટર પહાડો સાથે અથડાયું હતું. આ દુ:ખદ ઘટનામાં જનરલ રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાનોના મૃત્યુ થયા હતા.