સુરત, વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ
ધાર્મિક ઝંડા લગાવવા બાબતે હિન્દુ-મુસ્લિમ ટોળાં આમને-સામને આવ્યાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા 4 દિવસ દરમિયાન ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. 8 સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યો હતો. હવે 10 સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે 11 સપ્ટેમ્બરે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે હિન્દુ-મુસ્લિમ સમાજનાં ટોળાં આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો. જો કે, પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જતા સ્થિતિ તુરંત જ કાબૂમાં લીધી હતી. આ મામલે પોલીસે 20 લોકોના નામ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી લીધી છે. સ્થિતિ ફરી ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. સવારના સમયે સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ હાથ ધરાયું હતું. ભરૂચ પોલીસે લોકોને અફવા ન ફેલાવવા અપીલ કરી છે. ભરૂચ પશ્ર્ચિમમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદ-એ- મિલાદનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા. એકબીજાનાં ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ ઝંડા-તોરણ લગાવાતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ઉગ્ર બોલાચાલી બાદ ટોળાં વચ્ચે મારામારીનાં દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં.
આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયૂર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાયએસપી, કઈઇ, એસઓજી,બી ડિવિઝન, તાલુકા પોલીસના પીઆઈ, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવ્યો હતો.
જોકે ત્યારબાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ થતા હતા તે તમામ લોકોની અટકાયત કરીને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં બે કે ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. જોકે સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં માહોલ ગરમાયો છે.
ભરૂચ એસપીએ બંને કોમના લોકોને શાંતિ રાખવા અપીલ કરી
ભરૂચ એસપી મયુર ચાવડાએ કહ્યું હતું કે, ભરૂચ શહેરમાં ગતરાત્રિએ ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને માહોલ ઉગ્ર બન્યો હતો. જો કે, પોલીસ તાત્કાલીક પહોંચી જતા સ્થિતિ કંટ્રોલમાં આવી હતી. શાંતિસમિતિની બેઠક બોલાવવામાં આવી છે અને સ્થિતિ ન બગડે તે માટે બંને કોમના આગેવાનોને અપીલ કરવામાં આવી છે. લોકોને અપીલ છે કે, માહોલ ખરાબ થાય તેવા મેસેજ, ફોટો કે વીડિયો લોકો સોશિયલ મીડિયા મારફત ન ફેલાવે. પોલીસની સોશિયલ મીડિયા પર નજર છે. જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ ફરતા થશે તો તેની સામે કાર્યવાહી કરાશે.