માળીયા મિયાણાની તાલુકા પંચાયત કચેરી છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હોય રાજ્ય સરકાર દ્વારા નવીનીકરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે માળીયામાં 3 કરોડ 32 લાખના ખર્ચે નિર્માણ પામનાર તાલુકા પંચાયત ભવનનું રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ વિધિવત ખાતમુહુર્ત કર્યું હતું. સામાન્ય તાલુકા પંચાયત કરતા માળીયા તાલુકા પંચાયત માટે સવાઈ રકમ મંજૂર કરવામાં આવી છે તેમ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ પંચાયત સ્વતંત્ર હવાલો ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ હર્ષભેર જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તાર એવા માળીયા તાલુકામાં વિકાસ બુલેટ ગતિથી થઈ રહ્યો છે. તમામ ગામડાઓમાં પ્રાથમિક જરૂરિયાતો ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે અને હજી ખૂટતી કડીઓ પુરવા સરકાર કટિબદ્ધ છે. સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ માળીયા તાલુકા માટે સિંચાઈ સુવિધા માટે 162 કરોડ તથા રસ્તાઓ માટે 170 કરોડથી વધુ રકમ મંજૂર કરવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ તકે સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારી આર.એ. કોંઢિયાએ કર્યું હતું. આ માળીયા મિંયાણા તાલુકા પંચાયત ભવનનું 588.06 ચો.મી. વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે. વાહન પાર્કિંગથી લઈને ફર્નિચર જેવી અન્ય અદ્યતન સુવિધાઓ સાથે તાલુકા પંચાયત કચેરીનું બાંધકામ કરવામાં આવનાર છે. આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ સહિત માળિયા તાલુકાના પદાધિકારી/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.