ખાસ-ખબરનો વિશેષ અહેવાલ (ભાગ-19)
વ્હોટ્સએપ્પ ગ્રુપ થકી તંત્રના દરેક અધિકારીની હિલચાલ પર નજર
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણો આજેય ધમધમી રહી છે. ગત વર્ષે ખનિજ વિભાગે કરોડો નો ખર્ચ કરી બે હજાર જેટલી કોલસાની ખાણો બંધ કરી હતી પરંતુ આ વર્ષે ફરીથી આ તમામ ખાણો અને તદુપરાંત અન્ય નવી ખાણો પણ શરૂ ચૂકી છે. જેથી સ્પષ્ટપણે ગુજરાત સરકારની તિજોરીને કોલસાની ચોરી કરતા ખનિજ માફીયાઓ તો નુકશાન પહોચાડે છે સાથોસાથ ખનિજ વિભાગે પણ કરોડોનો ખર્ચ પાણીમાં નાખ્યો હોય તેવું સામે આવ્યું છે. જોકે આ કોલસાની ગેરકાયદેસર પર જ આખુંય જિલ્લાનું અર્થતંત્ર ચાલતું હોય જેના લીધે મોટાભાગના અધિકારીઓ અને રાજકીય નેતાઓને કોલસાનો ધંધો બંધ કરવા કરતા શરૂ રાખવામાં વધુ રસ હોય પરંતુ ક્યારેક કોલસાના કૂવા પર દરોડો કરવા જાય ત્યારે પણ સફળતા પૂર્વક દરોડો થઈ શકતો નથી જેનું મુખ્ય કારણ ખનિજ માફીયાઓ ટેકનોલોજી નો ખુબજ સારી રીતે ઉપયોગ શીખી ગયા હોવાનું માનવામાં જરાય ખોટું નથી. કોલસાની ખાણો ચલાવતા ખનિજ માફીયાઓ ખનિજ ચોરી કરે છે તે જગ જાહેર છે પરંતુ આ કોલસાની ખનિજ ચોરી પાછળ સૌથી મહત્વનો ભાગ આજની ટેકનોલોજી છે. આ ખનિજ માફિયાઓના વોટસઅપ ગ્રુપો ચાલે છે વોટસઅપ ગ્રુપના મુખ્ય ઈસમ દરેક ખનિજ માફિયાઓને 500 રૂપિયાની રકમ લઈને ગ્રુપમાં જોડે છે આ એક ગ્રુપમાં આશરે 200થી 250 જેટલા લોકો જોડાયેલા હોય છે. વોટસઅપ ગ્રુપમાં ખનિજ વિભાગ, મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસના ઉચ્ચ અધિકારીની દરેક ગતિવિધિ વોઇસ રેકોર્ડ દ્વારા માહિતી અન્ય સભ્ય સુધી પહોચતી રહે છે. વોટસઅપ ગ્રુપ ચલાવતો ઈસમ આ પ્રકારના અનેક ગ્રુપો ચલાવતો હોય છે અને મોટાભાગે તંત્રના દરેક ભ્રષ્ટાચારી કર્મચારી આ ગ્રુપના મુખ્ય ઈસમ સાથે જોડાયેલો હોય છે જેના થકી મુખ્ય
ઇસમને મળતી માહિતી પળભરમાં જ અન્ય ખનિજ માફીયાઓ સુધી પહોંચી જાય છે જેથી અધિકારી પોતાની કચેરીમાંથી બહાર નીકળે કે તરત જ ગાડીનો નંબર અને ક્યાં કર્મચારી ક્યાં વિસ્તારમાં જાય છે તે સુધીની માહિતી ખનિજ માફિયાઓને અગાઉથી જાણ થઈ જાય છે. જેથી કોઇપણ સમયે આકસ્મિક ચેકીંગ કરી દરોડો કરાય છે પરંતુ ખનિજ માફિયા તો અગાઉથી જ પલાયન થઈ ચૂક્યા હોય છે.



