રાજકોટમાં દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત, સિનિયર સિટિઝન અને જૂવેનાઈલ ડાયાબિટિસગ્રસ્ત વ્યક્તિઓ બસમાં નિ:શૂલ્ક મુસાફરી કરી શકશે
આજથી તમામ સિવિક સેન્ટરો ખાતે ફ્રી પાસ મેળવી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વર્ષ 2024-25ના બજેટ અંતર્ગત લેવાયેલા નિર્ણયના અનુસંધાને સિનિયર સીટીઝન, દિવ્યાંગો (21 કેટેગરી), થેલેસેમિયાગ્રસ્ત, જૂવેનાઈલ ડાયાબિટીસગ્રસ્તને સીટી બસ સેવા તથા બીઆરટીએસ બસ સેવામાં ફ્રી મુસાફરી લોકભોગ્ય યોજનાની આજરોજ જાહેરાત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કરી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ 2024-25 માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા ગત સપ્તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટમાં જાહેર થયેલી યોજનાઓની સમયબદ્ધ અમલીકરણના સ્ટેટસ રિવ્યુ અંગે મિટીંગ કરવામાં આવી હતી જેના ભાગરૂપે સીટી બસ સેવા અને બીઆરટીએસ બસ સેવા અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરી બસ સર્વિસ તથા બીઆરટીએસ બસ સર્વિસનું સંચાલન કરીને રાજકોટ શહેરના લાખો નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 19-2-2024ના રોજ નાણાંકીય વર્ષ 2024-25ના અંદાજપત્ર અંતર્ગત વરિષ્ઠ નાગરિકો (સિનિયર સીટીઝન), દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત તથા જૂવેનાઈલ ડાયાબિટીસગ્રસ્ત નાગરિકોને સીટી બસ સર્વિસ તથા બીઆરટીએસ બસ સર્વિસ અંતર્ગત ફ્રી મુસાફરી યોજના અંગેની જાહેરાત કરવામાં આવેલ, જેનું ત્વરિત અમલીકરણ કરાવવા સંબંધિત અધિકારીઓને રિવ્યુ મિટીંગ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
જેના અનુસંધાને રાજકોટ રાજપથ લિ. દ્વારા બીઆરટીએસ બસ સર્વિસ તથા શહેરી બસ સર્વિસમાં વરિષ્ઠ નાગરિકો (સિનિયર સીટીઝન), દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત તથા જૂવેનાઈલ ડાયાબિટીક મુસાફરોને શહેરી બસ સર્વિસ અંતર્ગત મફત મુસાફરી કરવા જરૂરી નિયમાનુસારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી છે. આ યોજનાનો લાભ મેળવવા ફ્રી મુસાફરી પાસ માટેના અરજીપત્રક આજરોજ સોમવારથી જ રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર તેમજ વોર્ડ ઓફિસેથી મળી શકશે. જરૂરી આધાર પુરાવા સાથે સંપૂર્ણ વિગતો ભરેલું કેટેગરીવાઈઝ ફોર્મ સવારે 10-30થી બપોરે 3-30 સુધીમાં સિવિક સેન્ટર સેન્ટ્રલ ઝોન, સીટી સિવિક સેન્ટર ઈસ્ટ ઝોન, સીટી સિવિક સેન્ટર વેસ્ટ ઝોન, સીટી સિવિક સેન્ટર અમીન માર્ગ, સીટી સિવિક સેન્ટર કૃષ્ણનગર, સીટી સિવિક સેન્ટર દેવપરા શાક માર્કેટ પાસે, કોઠારીયા રોડ રાજકોટ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસે સ્વીકારવામાં આવશે.
- Advertisement -
થેલેસેમિયાગ્રસ્ત, જૂવેનાઈલ ડાયાબિટીક તેમજ દિવ્યાંગોની 21 કેટેગરીમાં સમાવિષ્ટ મુસાફરોએ બસમાં ફ્રી મુસાફરીના પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ (એક ફોટો ફોર્મમાં ચોંટાડવો અને એક ફોટો સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રુફની નકલ (પાનકાર્ડ, ઈલેકટશન કાર્ડ, આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ), એડ્રેસ પ્રફુની નકલ (રેશનકાર્ડ, ગેસ કનેકશન બીલ, ઈલેકટ્રીસીટી બીલ) તેમજ દિવ્યાંગો માટે સિવિલ સર્જનનો દાખલો સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજૂ કરવાના રહેશે.
60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકોએ ફ્રી મુસાફરીના પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ (એક ફોર્મમાં ચોંટાડવો અને એક સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રુફની નકલ (પાનકાર્ડ, ઈલેકશન કાર્ડ, આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ), એડ્રેસ પ્રુફની નકલ (રેશનકાર્ડ, ગેસ કનેકશન બીલ, ઈલેકટ્રીક બીલ) સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજૂ કરવાના રહેશે.
રાજકોટ રાજપથ લિ. દ્વારા નિયત કરવામાં આવેલા દિવ્યાંગ વ્યક્તિઓની કેટેગરીમાં અંધત્વ, આનુવંશિક કારણોથી થતા સ્નાયુક્ષય, સાંભળવાની ક્ષતિ, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઈજા જીવલેણ રક્તસ્ત્રાવ, ઓછી દૃષ્ટિ, ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા, બૌદ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, રક્તપિત સાજા થયેલા, દીર્ઘકાલીન અનેમિયા, એસીડના હુમલાનો ભોગ બનેલા, હલનચલન સાથે અસશક્તતા, સેરેબલપાલ્સી, વામનતા, માનસિક બીમાર, બહુવિધ સ્કલેરોસિસ- શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશક્તતા, ચેતાતંત્ર- ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ, બહેરા અંધત્વ સહિત અનેક અપંગતા જેવી જુદી જુદી 21 કેટેગરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે પાસ કચેરીના કામના દિવસોમાં ઈસ્યુ કરવામાં આવશે, પાસ ધરાવનારે મુસાફરી દરમિયાન ઓરિજીનલ પાસ સાથે રાખવાનો રહેશે, પાસની ઝેરોક્ષ કે ડુપ્લીકેટ પાસ માન્ય રહેશે નહીં અન્યથા નિયમાનુસારનો દંડ વસુલ કરવામાં આવશે, કોઈ પણ સંજોગોમાં પાસ ધરાવનાર વ્યક્તિ પોતાનો પાસ અન્ય કોઈ વ્યક્તિને મુસાફરી માટે આપી શકશે નહીં કે તબદિલ કરી શકશે નહીં. કોઈ વ્યક્તિના પાસનો ઉપયોગ અન્ય કોઈપણ વ્યક્તિ કરી શકશે નહીં. આમ જણાયેથી સ્થળ પર જ પાસ જપ્ત કરી નિયમાનુસારનો દંડ વસુલવામાં આવશે.
પાસ ખોવાય જાય, ખરાબ થાય, ધોવાય જાય કે ફાટી જાય તેવા કિસ્સામાં અરજદારે નવેસરથી અરજી પ્રક્રિયા કર્યા બાદ જ અરજદારને નવો પાસ કાઢી આપવામાં આવશે, મુસાફરી દરમિયાન સંસ્થાના ફરજ પરના અધિકારી કે ચેકીંગ સ્ટાફ દ્વારા પાસ ચકાસણી માટે માગવામાં આવે ત્યારે પાસ બતાવવાનો રહેશે. મુસાફરી સમયે જો દિવ્યાંગ પાસ નહીં હોય તો મુસાફરીનું પૂરેપૂરું ભાડું દંડ સાથે વસુલવામાં આવશે. રાજકોટ શહેરમાં વસતા દિવ્યાંગો, સિનિયર સીટીઝનોને જ ફ્રી બસપાસની સગવડ આપવામાં આવશે. દિવ્યાંગ પાસ મેળવવા માટે માન્ય સરકારી હોસ્પિટલના સિવિલ સર્જનને અંધજનને 100 ટકા તથા અપંગ અને બહેરા મુંગા દિવ્યાંગોને મિનિમમ 40 ટકાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. મુસાફરી દરમિયાન અન્ય મુસાફરોને અડચણરૂપ થાય તેવું લગેજ લઈને બસમાં જઈ શકાશે નહીં, લગેજ સાથે હશે તો નિયમ મુજબ લેગજની ટિકિટ લેવાની રહેશે. અનિવાર્ય કે આકસ્મિક સંજોગોને લીધે બસ કેન્સલ થશે અથવા સમયમાં ફેરફાર થયે તે પરત્વે રૂટમાં ફેરબદલ કરવાનો અધિકાર રાજકોટ રાજપથને લિ.નો રહેશે. રાજકોટ રાજપથ લિ. દ્વારા પાસના નિયમમાં વખતોવખત કરવામાં આવતા ફેરફાર પાસ ધારકને બંધનકર્તા રહેશે. અરજીપત્રક રજૂ કર્યાના 30 દિવસ બાદ અરજદારે તેમનો પાસ ત્રિકોણ બાગ કંટ્રોલ રૂમ ખાતેથી ઓરિજનલ પહોંચ રજૂ કરી (સમય સવારે 10થી સાંજે 6 દરમિયાન) મેળવી લેવાનો રહેશે.
કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા થકી પર્યાવરણને ફાયદો થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર પરિવહન સેવાને પ્રોત્સાહન મળી રહે તેવી આ ફ્રી મુસાફરી યોજનાનો મહત્તમ લાભ લેવા માટે સ્ટે. કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરએ અપીલ કરી છે.