આગામી તા. ૨૧ અને તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના મતદાન સંદર્ભે નાયબ શ્રમ આયુકતની કચેરી, રાજકોટના આદેશ અનુસાર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ (રેગ્યલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ મત આપવાનો અધિકાર ધરાવતી કોઇ પણ દુકાન કે સંસ્થામાં નોકરી કરતી દરેક વ્યક્તિને મતદાનના દિવસે રજા આપવાની રહેશે. અને આ માટે તેના વેતનમાંથી કોઇ કપાત કે સુધારો કરવાનો રહેશે નહીં. સામાન્ય રીતે વેતન નહીં મેળવે તેવા આધારે નોકરી પર રખાયેલ વ્યક્તિને મતદાન કરવા બદલ તેને મળવાપાત્ર રોજિંદુ નિયત વેતન મંજૂર કરવાનું રહેશે.
નોકરીએ રાખનાર વ્યક્તિ આ જોગવાઇઓનું ઉલ્લંઘન કરશે તો તે વ્યક્તિ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ રૂ. ૫૦૦ના દંડને પાત્ર થશે. મતદાતાની ગેરહાજરીને લીધે ભયજનક પરિસ્થિતિ ઉભી થાય તેમ હોય અથવા મતદાતાની ગેરહાજરી વ્યાપક નુકસાનમાં પરિણમે તેમ હોય તેવા મતદારોને આ જોગવાઇઓ લાગુ નહીં પડે. આ બાબતની કોઇ પણ પ્રશ્ન કે ફરિયાદ અંગે મદદનીશ શ્રમ આયુકત, રાજકોટ અથવા નાયબ શ્રમ આયુકતની કચેરી, રાજકોટનો સંપર્ક કરવા કચેરીની યાદીમાં જણાવાયું છે.