સારી કામગીરી કરનાર ધારાસભ્યોને ફરી ટિકિટ મળવાની શક્યતા
સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા અને નારણ રાઠવા દ્વારા દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આજે રાજકોટ જિલ્લા અને શહેરની બેઠકો પર દાવેદારની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા અને નારણ રાઠવા દ્વારા દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રની 54 બેઠક માટે 600 દાવેદારો છે જેની રજૂઆતો સાંભળવામાં આવી છે. સારી કામગીરી કરનાર ધારાસભ્યોને ફરી ટિકિટ મળવાની શક્યતા છે. આ સેન્સ પ્રક્રિયામાં અર્જુન ખાટરીયા, અશોક ડાંગર, અતુલ રાજાણી, એનએસયુઆઈના હોદ્દેદારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રામકિશન ઓઝાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા તેમના અને નારણ રાઠવા સહિત સિદ્ધાર્થ પટેલને હાલ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવા જવાબદારી સોંપવામાં આવી છે. 20 સપ્ટેમ્બરથી જ સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર સહિતના વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરી ચૂક્યા છે. આજે આ માટે જ તેઓ રાજકોટ આવ્યા છે. આ પ્રક્રિયા દરમિયાન ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને માત્ર 54 બેઠકો માટે 600 કરતા વધારે સક્ષમ દાવેદારો સામે આવ્યા છે. આ સેન્સ અંગે રિપોર્ટ હાઈકમાન્ડને સોંપ્યા બાદ ટૂંક સમયમાં ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે.