યુગદૃષ્ટા ડો. આંબેડકરના વિચારો અને દર્શન આજની
પેઢી માટે અત્યંત આવશ્યક : કુલપતિ પ્રો. ઉત્પલ જોષી
કિશોર મકવાણાને પ્રતિષ્ઠિત ‘ભીમરત્ન એવોર્ડ-2025’ અર્પણ, સંશોધકો અને વિદ્યાર્થીઓનું વિવિધ એવોર્ડથી સન્માન
- Advertisement -
વર્ષ 2024માં આ એવોર્ડ પ્રો. નાથાલાલ ગોહિલને અને વર્ષ 2023માં પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને આપવામાં આવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ડો. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 વિષયક રાષ્ટ્રીય સેમિનાર તા. 11 માર્ચ 2026ના રોજ યોજાયો હતો. માનનીય કુલપતિ પ્રો. ઉત્પલ જોષીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ, સંશોધન અને સામાજિક સમાનતા અંગે ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોની પ્રાસંગિકતા પર વિશદ ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન કુલપતિ પ્રો. ઉત્પલ જોષીએ જણાવ્યું હતું કે યુગદ્રષ્ટા ડો. આંબેડકરના વિચારો અને દર્શન આજની પેઢી માટે અત્યંત આવશ્યક છે. મુખ્ય મહેમાન અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરપર્સન કિશોરભાઈ મકવાણાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જ્ઞાનની શક્તિના પ્રતીક એટલે ડો. આંબેડકર. પ્રો. નાથાલાલ ગોહિલે જણાવ્યું કે ડો. આંબેડકર શિક્ષણશાસ્ત્રીથી એક સ્ટેપ આગળ વિદ્યાધર હતા, જ્યારે પ્રો. કૌશલ પંવારે જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020નું દર્શન બાબાસાહેબના શૈક્ષણિક વિચારોમાં જોવા મળે છે. ડો. આશિષ કે. શુકલાએ કહ્યું કે આજની પેઢી જો બાબાસાહેબના પેશનને અનુસરશે તો તેઓ માટે રોલ મોડેલ બની શકે.
સેમિનારનો મુખ્ય ઉદ્દેશ ડો. આંબેડકરના શિક્ષણદર્શન, સામાજિક સમાનતા અને આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં તેમના વિચારોની પ્રાસંગિકતા અંગે ચર્ચા કરવાનો હતો. આ પ્રસંગે ડો. આંબેડકરે શિક્ષણ ક્ષેત્રે આપેલા ઐતિહાસિક યોગદાન અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020ના અમલથી સર્જાતા પરિવર્તનો અંગે પણ વિવિધ વક્તાઓએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ દરમિયાન વર્ષ 2025 માટેનો રાજ્યકક્ષાનો પ્રતિષ્ઠિત ‘ભીમરત્ન એવોર્ડ’ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરપર્સન કિશોરભાઈ મકવાણાને અર્પણ કરવામાં આવ્યો હતો. અગાઉ વર્ષ 2024માં આ એવોર્ડ પ્રો. નાથાલાલ ગોહિલને અને વર્ષ 2023માં પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ડો. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ડો. આંબેડકરના જીવન, કાર્ય અને તત્ત્વજ્ઞાન પર સંશોધન કરનાર કુલ આઠ સંશોધકોને ડો. આંબેડકર સ્પેશિયલ સંશોધન ફેલોશીપ એવોર્ડ-2025-26થી સન્માનિત કરવામાં આવ્યા. પી.જી. અને પીએચ.ડી. સ્તરના સંશોધકોને 10 હજારથી 20 હજાર રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવી. સેમિનારના ઉદ્ઘાટન સત્ર દરમિયાન રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા અને નિબંધલેખન સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને *‘ભીમપ્રજ્ઞા એવોર્ડ’*થી સન્માનિત કરવામાં આવ્યા. ધોરણ 6 થી પીએચ.ડી. સુધીના વિદ્યાર્થીઓ માટે યોજાતી આ સ્પર્ધાઓમાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. અત્યાર સુધીની સ્પર્ધાઓમાં 100થી વધુ વિદ્યાર્થીઓને આ એવોર્ડ આપવામાં આવ્યા છે.
ડો. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સેન્ટરની લાઈબ્રેરીમાં 4163 પુસ્તકો ઉપલબ્ધ છે અને 220 સભ્યો જોડાયેલા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ કોલેજોમાં ડો. આંબેડકર વિષયક 194થી વધુ વ્યાખ્યાનો યોજાયા છે તેમજ તેમના જીવન અને વિચારો પર 27 પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. સેન્ટર દ્વારા શરૂ કરાયેલા ડો. આંબેડકરજીનું જીવન અને દર્શન તથા ભારતીય બંધારણમાં માનવ અધિકારો અને ફરજો જેવા પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં અત્યાર સુધી 733 વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઉપરાંત માતૃશ્રી રમાબાઈ ગ્રામ સેવા ફેલોશિપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ગામડાઓમાં જઈને શિક્ષણ, આરોગ્ય અને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ વી.સી. ગઢવીએ આભારવિધિ કરી હતી. ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ બી. ધાનાણીએ કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે કાર્યક્રમનું સંચાલન મુલાકાતી અધ્યાપક ડો. વિનેશ એલ. બામણિયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ચેર-સેન્ટરના ચેરમેન પ્રો. રાજા એન. કાથડના માર્ગદર્શન હેઠળ ડો. રવિ ધાનાણી, ડો. કાંતિલાલ કાથડ, ડો. વિનેશ બામણિયા સહિત સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સેમિનારમાં રાજ્યભરના વિવિધ યુનિવર્સિટી અને કોલેજોના પ્રાધ્યાપકો, સંશોધકો, સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



