મણીઆર પરિવારે 2020માં પંચનાથ પ્લોટનું દોઢ કરોડનું મકાન દાનમાં દઈ દીધેલું, 2024માં દાન દીધેલા મકાનની જગ્યાના ભૂમિપૂજન કાર્યક્રમમાં દાતાઓની જ બાદબાકી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિવેક ચૂક્યું, સંઘ પ્રેરિત વિદ્યાર્થી વિકાસ ટ્રસ્ટના સંસ્કાર પર સવાલો ઉઠવાના શરૂ
નિમંત્રણ પત્રિકામાં પ્રવીણકાકાના નામનો ક્યાંય ઉલ્લેખ નહીં, ભૂમિપૂજનમાં મણીઆર પરિવારની ગેરહાજરી સૂચક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજીવન સ્વયંસેવક અને શિક્ષણવિદ્દ સ્વ. પ્રવીણભાઈ મણીઆર – પ્રવીણકાકાની ચતુર્થ પૂણ્યતિથિ 13 નવેમ્બર 2020ના રોજ પ્રવીણકાકાના પરિવારજનોએ પ્રવીણકાકાની અમૂલ્ય સ્મૃતિ સમુ ઘર ’સુરપ્રભાવ’ દાનમાં આપવાનો સંકલ્પ કર્યો હતો. મણીઆર પરિવાર દ્વારા પ્રવીણકાકાની અનેક સેવાકીય, શૈક્ષણિક, રાજકીય અનેરાષ્ટ્રીય સેવાઓની પુણ્યભૂમિ એવા 14-પંચનાથ પ્લોટ ખાતેનાં 137 વારના ’સુરપ્રભાવ’ નિવાસને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને દાન કરવામાં આવ્યું હતું. મણીઆર પરિવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને આશરે દોઢ કરોડની બજાર કિંમતનું ઘર દાનમાં આપ્યું ત્યારબાદ એ જગ્યા પર કોઈ વિશેષ હલચલ થઈ નહતી પરંતુ એકાએક થોડા દિવસો પૂર્વે આ જગ્યા પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેની નિમંત્રણ પત્રિકામાંથી પ્રવીણકાકાનું નામ અને ભૂમિપૂજનના કાર્યક્રમમાંથી મણીઆર પરિવારના સભ્યોને બાકાત રખાયા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિચાર પ્રેરિત વિદ્યાર્થી વિકાસ ટ્રસ્ટને શિક્ષણની પ્રવૃત્તિઓ માટે અર્પણ કરવામાં આવેલા પ્રવીણકાકાના ઘર સુરપ્રભાવમાં અસુરોનો પ્રભાવ જોવા મળતા વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવું કહેવાય છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે દાનમાં મળેલા પ્રવીણકાકાના નિવાસસ્થાન ’સુરપ્રભાવ’નું નામ ’શ્રી પ્રવીણકાકા સ્મૃતિ ભવન’ રાખશે એવું નક્કી થયેલું પરંતુ ભૂમિપૂજનની નિમંત્રણ પત્રિકા કે કાર્યક્રમમાં પ્રવીણકાકા કે મણીઆર પરિવારને કોઈએ યાદ કર્યા નહતા. અલબત્ત ભૂમિપૂજનના કાર્યક્રમમાં સંઘ ઉપરાંત રાજકારણ અને શિક્ષણજગતની હસ્તીઓને હોંશે-હોંશે આવકારનારા ખાખી પાટલૂન અને ધોળા બુસકોટ પહેનારાઓ સંઘ સમર્પિત મણીઆર પરિવારને જ તેડાવવાનું ભૂલી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
- Advertisement -
મણીઆર પરિવારે પોતાની અમૂલ્ય વારસાગત મિલ્કત સમગ્ર સમાજની શૈક્ષણિક ઉન્નતિનાં હેતુસર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંલગ્ન સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને અર્પણ કર્યા પછી રાષ્ટ્ર માટે સમર્પિત વ્યક્તિ અને તેમના પરિવારની ઉપેક્ષા ઉડીને આંખે વળગે તેવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે જગ્યા પર ભૂમિ પૂજન કર્યું એ જગ્યા સાથે જોડાયેલા પ્રવીણકાકા અને એ જગ્યા દાનમાં આપી દેનાર મણીઆર પરિવાર પ્રત્યેનો વિવેક ચૂક્યું હોય તેવું સ્પષ્ટ દર્શાઈ આવતા સંઘ પ્રેરિત વિદ્યાર્થી વિકાસ ટ્રસ્ટના સંસ્કાર પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે આવનારા સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ સંઘના કહેવાતા કાર્યકરો પોતાની ભૂલ સુધરાશે કે નહીં એ જોવું રહ્યું.