ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ-ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ-રાજકોટ દ્વારા ‘વિશ્ર્વ કવિતા દિવસ’ નિમિત્તે ગુજરાતી સાહિત્ય જગતમાં આદરભર્યુ સ્થાન ધરાવતા, વર્ષોથી સાહિત્ય સર્જન કરતા, સાહિત્યપ્રેમીઓના હૃદયસ્થ આપણા નગરના ગૌરવસમા ત્રણ વરિષ્ઠ કવિઓનું તેઓના નિવાસસ્થાને રૂબરૂ જઈને શહેરના સમાજજીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના હસ્તે વિશ્ર્વ કવિતા દિવસની પૂર્વસંધ્યાએ કવિઓ-લેખકો-સર્જકો- સાહિત્યપ્રેમીઓની ઉપસ્થિતિમાં ભાતીગળ તેમજ પરંપરાગત રીતે પોંખવામાં આવશે.
- Advertisement -
ગુજરાતી સાહિત્યજગતમાં આદરભર્યુ સ્થાન ધરાવતા ગઝલ સમ્રાટ લલિત ત્રિવેદી, ઉત્તરાર્ધના નોખા કવિ તરીકે ઉભરેલ કવિ યજ્ઞેશ દવે અને સેવા અને સંસ્કારી નગરી ભાવનગરના મૂળ વતની અને ત્રણ દાયકાથી વધુ સમયથી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર કવિ-લેખક- ઉદ્ઘોષક-સંપાદક સાહિત્યને સમર્પિત ઉમદા માનવી દમદાર અવાજના માલિક અનેક કવિ સંમેલનો, મુશાયરામાં ભાગ લઈ ચૂકેલા જાણીતા કટાર લેખક-વક્તા અને અનેક એવોર્ડ પુરસ્કારોથી સન્માનિત હજારો છાત્રોને ગુજરાતી વિષય ભણાવનાર મળવા જેવા માનવી વાંચકોના હૃદયમાં અનેરૂ સ્થાન ધરાવતા કવિ નટવર આહલપરા સહિતના ત્રણ ગરવી ગુજરાતી ભાષાને જેમણે અજવાળી છે એવા ત્રણ વરિષ્ઠ કવિઓનું તેઓનું દરેકના નિવાસસ્થાને જઈને કુમકુમ તિલક, ખેસ પહેરાવી વિવેકાનંદજીનો ફોટો, શિલ્ડ આપી તેમજ શાલ ઓઢાડીને ભાતીગળ તેમજ પરંપરાગત સન્માન સમાજજીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે.
સમગ્ર આયોજનની સફળતા માટે સાહિત્ય સેતુ પરિવારના વસંતભાઈ ગાદેશા, મુકેશ દોશી, અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, સુધીર દત્તા, પ્રકાશ હાથી, સુનિલ વોરા, નલીન તન્ના, હસુભાઈ રાચ્છ, પંકજ રૂપારેલીયા, નૈષધભાઈ વોરા, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, પરિમલભાઈ જોષી વગેરે કાર્યરત છે.