મૃત પશુધન માટે સહાય ચૂકવવાના ઠરાવમાં શાસક પક્ષે વિરુદ્ધમાં મતદાન કરતા વિપક્ષી નેતાઓ ગાજ્યા
વિપક્ષ સર્વે કરીને સાચો આંક આપે તો એક હજારની સહાય આપવાનું બાંધકામ સમિતિના ચેરમેનનું વચન!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા પંચાયત કચેરી ખાતે સોમવારે સામાન્ય સભા મળી હતી. આ સભામાં કોંગ્રેસના સભ્યોએ લમ્પી વાયરસમાં મૃત્યુ પામેલ પશુધન માટે સહાય જાહેર કરવા મૂદે હોબાળો કર્યો હતો અને ભાજપ સરકારે લમ્પી વાયરસમાં મૃત્યુ પામેલ પશુધન માટે સહાય જાહેર ન કરી હોવાથી આ અંગેનો ઠરાવ કરીને સરકારને પહોંચાડવા કોંગ્રેસી સભ્યોએ ઠરાવ કર્યો હતો જોકે ભાજપના સદસ્યોએ વિરુદ્ધમાં મતદાન કરતા ઠરાવ પાસ થયો ન હતો જેથી કોંગ્રેસના સદસ્યોએ ભાજપ ઉપર પશુપાલકોના વિરોધી હોવાનો આક્ષેપ કરી સરકારની સાથે સાથે જિલ્લા પંચાયતના સદસ્યોને પશુપાલકોના હિતનો કોઈ ખ્યાલ ન હોવાના પણ આક્ષેપો કર્યા હતા.
શાસક પક્ષ ભાજપે કોંગ્રેસ ઉપર પ્રજાને ગેરમાર્ગે દોરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો જેમાં કૃષિમંત્રી સમક્ષ રજૂઆત માટે બોલાવ્યા છતાં કોંગ્રેસના એકપણ નેતા ડોકાયા ન હતા. શાસક પક્ષ તરફથી બહુમતીના જોરે 15 એજન્ડા મંજુર કરવામાં આવ્યા હતા જેમાં 15માં નાણાપંચના વિવિધ કામો રૂ.2.87 કરોડના ખર્ચે, ચાર કરોડથી વધુ સ્વભંડોળને સૈદ્ધાંતિક મંજૂરી, રૂ.2.97 કરોડના ખર્ચે રેતી રોયલ્ટીની વહીવટી મંજૂરી, સ્વંભંડોળ વહીવટી મુદાને બહાલી આપવામાં આવી હતી.
મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષ નેતા ભુપત ગોધાણીએ ભાજપ સરકાર ગાયને માતા તરીકે પૂજનીય ગણે છે પણ ગાયોને બચાવવાની વાતમાં જરાય રસ ન દાખવતી હોવાનો આક્ષેપ કર્યો હતો તો સામા પક્ષે જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ લમ્પી વાયરસની સહાય મામલે કોંગ્રેસ ઉપર વળતો પ્રહાર કર્યો હતો અને કોંગ્રેસ પહેલા આ રોગથી કુલ કેટલા પશુઓના મોત થયા છે તેનો સર્વે કરી સાચો આંક રજૂ કરે તો અજય લોરિયા તરફથી વ્યક્તિગત રીતે મૃત પશુ દીઠ એક હજારની સહાય ચૂકવવાનું જાહેર કરવામાં આવ્યું હતું.