શાસનાધિકારી કિરીટ પરમાર નીતિમત્તાના અને ફરજનિષ્ઠાના છેલ્લાં તળિયે બેસી ગયા…
રાજકીય હુંફના કારણે પરમાર બેફામ
- Advertisement -
ફરિયાદી કેળવણી નિરીક્ષકને કિરીટ પરમારે આરોપી બનાવી દીધાં!: સદાદિયાની તપાસ કરવાને બદલે નિરીક્ષકની ઉલટ તપાસ કરી…
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.19
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચાલી રહેલી વ્હાલા-દવલાની નીતિ અંગે ખાસ-ખબરમાં સમયાંતરે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ અહેવાલોને ધ્યાને લઈ થોડા મહિના અગાઉ જ ચેરમેન સહિત આખી શિક્ષણ સમિતિ વિખેરી નાખવામાં આવી હતી. પરંતુ અફસોસ નવા આવેલા ચેરમેન સહિતના સભ્યો પણ કશું ઉકાળી શક્યા નથી. ચેરમેન વિક્રમ પુજારા અને શાસનાધિકારી કિરીટ પરમાર ક્યાં પ્રકારે વહીવટ ચલાવી રહ્યા છે અને શિક્ષણ સમિતિની મહિલા કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી કેવી રીતે તેમનું શોષણ કરવામાં આવે છે તેની ચોંકવનારી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટનાક્રમ મામલે શિક્ષણ સમિતિના મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા તેમની પજવણી કરતા તત્વો સામે ન્યાય અને સલામતી આપવા તેમજ પોલીસ ફરિયાદની મંજૂરી માગવામાં આવી છે.ર‘ખાસ-ખબર’ને સમિતિના સૂત્રો પાસેથી આ પત્રની નકલ મળી છે અને તેમાંની વિગતો સ્ફોટક છે.
બનાવની વિગત અનુસાર શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા સહિતનાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી શિક્ષણ સમિતિના મહિલા કેળવણી નિરીક્ષકની પજવણી કરવામાં આવી રહી છે. આ અંગે મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા તેમની માનસિક પજવણી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવાની વાંરવાર લેખિતમાં માંગ કરવામાં ઉપરાંત ન્યાય અને સલામતી આપવા જણાવવામાં આવ્યું હતું.
શિક્ષણ સમિતિનો વહિવટ ચિંથરેહાલ, કમિશનરથી લઇને નેતાઓ કોઇને સુધારાઓમાં રસ નથી
આમ છતાં ચેરમેન વિક્રમ પુજારા અને શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા મહિલા કેળવણી નિરીક્ષકની અરજીઓ ધ્યાનમાં ન લઈ ભેદી કારણોસર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને આજ દિન સુધી દિનેશ સદાદિયા જેવા અનિષ્ટ તત્વોને છાવરવામાં આવી રહ્યા છે.
સમગ્ર મામલે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા કરવામાં આવેલી વિવિધ અરજી સંદર્ભે ગત 16 માર્ચના રોજ હિયરીંગ ગોઠવવામાં આવ્યું હતું. આ હિયરીંગ દરમિયાન શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા ફરિયાદી મહિલા કેળવણી નિરીક્ષક સાથે આરોપી જેવું અત્યંત ગેરવાજબી વર્તન કરવામાં આવ્યું એટલું જ નહીં, મહિલા કેળવણી નિરીક્ષકને ધમકી પણ આપવામાં આવી કે, ’હવે તમારાથી નોકરી કેમ થશે તે હું પણ જોઉં છું.’ આરોપી દિનેશ સદાદિયા સહિતનાઓને બચાવવા માટે શાસનાધિકારી કિરીટ પરમારે ફરિયાદી મહિલા કેળવણી નિરીક્ષક સાથે ખૂબ જ મોટા અવાજે વાત કરી ડરાવી-ધમકાવી હતી. ત્યારબાદ મહિલા કેળવણી નિરીક્ષકની માનસિક અને શારીરિક હાલત ખરાબ થઈ જતા તેઓએ પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર, મ્યુનિસિપલ કમિશનર રાજકોટ, જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટ સહિત સંબંધિત વિભાગ સમક્ષ તેમની પજવણી કરનાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા અંગે મંજૂરી માંગી છે.
હવે સમગ્ર મામલે ઉચ્ચ વિભાગ કેવા પગલાં ભરશે અને શું કાર્યવાહી કરશે એ જોવું રહ્યું પરંતુ વિદ્યાના ધામમાં એક મહિલા કેળવણી નિરીક્ષક સાથે છેલ્લા ઘણા મહિનાઓથી કરવામાં આવી રહેલું ગેરવર્તન અને માનસિક પજવણી મામલે પક્ષના હોદ્દેદારો પણ કેમ કશું કરી રહ્યા નથી એ સવાલ અકળાવનારો છે.
શિક્ષણ સમિતિમાં ચૂંટાયેલા મહિલા સભ્યો પણ મહિલા કર્મચારીઓ – શિક્ષકોનો સાથ આપતા નથી!
શિક્ષણ સમિતિમાં એક અધિકારી અને તેના સાથીદારો દ્વારા મહિલા કર્મચારીઓ સાથે કરવામાં આવતી ગેરવર્તણૂંક અંગે કેળવણી નિરીક્ષકે ઉઠાવેલા અવાજ બાદ અન્ય કેટલાક મહિલા કર્મચારીઓ – શિક્ષકોમાં પણ હિંમત આવી છે. આવનારા સમયમાં અન્ય કેટલાક માનસિક પજવણી કાંડ અને શારીરિક શોષણ કાંડ પણ બહાર આવી શકે તેમ છે. જોકે શિક્ષણ સમિતિના ચેરમેન અને સમિતિમાં ચૂંટાયેલા મહિલા સભ્યો કેમ તેમના મહિલા કર્મચારીઓ – શિક્ષકો સાથે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી પજવણી અંગે મૌન છે એ સમજાતું નથી. શિક્ષણ સમિતિના મહિલા સભ્યોએ પણ હિંમત રાખીને મહિલા કર્મચારીઓ – શિક્ષકોને મદદરૂપ થવું જોઈએ જેથી આવારા તત્વોનું આવી બને અને શિક્ષણ સમિતિમાં મહિલા કર્મચારીઓ – શિક્ષકો નિર્ભય બની પોતપોતાનું કાર્ય કરી શકે.
શહેર પ્રમુખ સાથે સમિતિના સભ્યોની બેઠક: માર્યા પણ નહીં, ભણાવ્યા પણ નહીં
ગત અઠવાડિયે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ ચેરમેન વિક્રમ પુજારા સહિત શિક્ષણ સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠક અંગે સૌને એવી આશા હતી કે, શિક્ષણ સમિતિમાં ચાલી રહેલી લોંલલોલ અંગે પ્રમુખ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે. આ સિવાય સમિતિના સભ્યોને પણ વન ટુ વન સાંભળવામાં આવશે. પરંતુ અફસોસની વાત એ છે કે, શિક્ષણ સમિતિની સમસ્યાઓમાં જાણે કોઈને રસ જ નથી. શહેર પ્રમુખે જાહેરમાં કોઈને કશો વાંધો હોય તો તેવું પૂછી ચૂંટણીના કામમાં લાગી જવા માટે સૂચના આપી હતી. આમ, આ બેઠકમાં ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો હતો. હકીકતમાં સમિતિના કેટલાક સભ્યોને જો વન ટુ વન પૂછવામાં આવતું તો ઘણી સ્ફોટક બાબતો પ્રમુખ સમક્ષ પ્રસ્તુત થઈ શકતી હોતી.
મહિલા કેળવણી નિરીક્ષકે અનેક અરજી કરી છતાં ચેરમેન – શાસનાધિકારીએ ધરાર કશું ન કર્યું
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા મહિલા કેળવણી નિરીક્ષકે તેમને માનસિક પજવણી કરતા તત્વો સામે ન્યાય અને સલામતી આપવા બાબતે તા. 30/8/22, તા. 9/9/22, તા. 16/9/22, તા. 9/11/23 લેખિતમાં અરજી કરી છે. ફરિયાદી મહિલા કેળવણી નિરીક્ષકની આ અરજી બાદ પણ ચેરમેન પુજારા – શાસનાધિકારી પરમારે આરોપી દિનેશ સદાદિયા સહિતનાઓ વિરુદ્ધ ધરાર કશું ન કર્યું હતું. આ અરજીઓ સંદર્ભે ચાર દિવસ પૂર્વે થયેલા હિયરીંગમાં શાસનાધિકારી દ્વારા મહિલા કેળવણી નિરીક્ષક સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂંક અને આપવામાં આવેલી ધમકી બાદ હવે નાછૂટકે મહિલા કેળવણી નિરીક્ષકે કાયદાકીય માર્ગ અપનાવવો પડ્યો છે. અહીં એ પણ પ્રશ્ર્ન ઉદ્દભવે છે કે, જો શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી જ મહિલા કર્મચારીઓ અને શિક્ષકોની કરવામાં આવતી પજવણી મામલે પોલીસ ફરિયાદની મંજૂરી નહીં આપે કે કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો કોણ કરશે? ચેરમેન પુજારા અને શાસનાધિકારી પરમાર કોની શેહશરમ કે દબાણથી આવારા તત્વોનો પક્ષ લઈ મહિલા કેળવણી નિરીક્ષકને સાથ-સહકાર આપી રહ્યા નથી? શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાનો ક્યાં કારણોસર બચાવ કરવામાં આવી રહ્યો છે?