હાલના આરોપીની આ સિવાય અન્ય બે ગુન્હામાં પણ સંડોવણી ખુલેલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશભરમાં ચકચાર જગાવનાર મસમોટા જીએસટી ચોરીના કૌભાંડમાં ઋષિ બગથરીયાના અન્ય એક ગુન્હામાં રાજકોટની સેશન્સ અદાલત દ્વારા જામીન મંજૂર કરવામાં આવેલા છે.આ ચકચારી કૌભાંડની કથિત કૌભાંડની હકીકત એવી છે કે રાજકોટ ખાતે જીએસટી વિભાગમાં ઓનલાઈન રજૂ કરી શ્રી ક્રિષ્ના ટ્રેડીંગના નામની પેઢી ખોલી ખોટા ભાડા કરારનો ખરા તરીકે ઉપયોગ કરી જીએસટી નંબર મેળવી બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડીટ મેળવવા માટે કુલ 6 પેઢીઓના સંચાલકો સાથે મળીને ગુન્હાહિત કાવતરુ રચી રૂા. 79,20,938 બનાવટી બિલિંગ તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડીટ મેળવી સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડતા જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીની ફરિયાદના આધારે રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 465, 467, 468, 471, 474, 420, 120(બી) મુજબનો ગુન્હો નોંધાયેલ હતો અને આ મુજબની ફરિયાદ સીજીએસટી સુપ્રિ. જય પ્રકાશસિંઘ રામચંદ્રસિંઘએ રાજકોટના ડીસીબી પોલીસ ઈન્સ્પેકટરને લેખિતમાં કરેલ, જેના આધારે આરોપી ઋષિ બગથરીયાની જીએસટીના ત્રણ ગુન્હામાં સંડોવણી ખુલેલી, જેમાં અમદાવાદ ખાતે એક તથા રાજકોટ ખાતે બે ગુન્હામાં પોલીસે ધરપકડ કરી જેલહવાલે કરેલો હતો, જે બાદ ઋષિ બગથરીયાએ પોતાના એડવોકેટ કુલદીપસિંહ જાડેજા મારફતે રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી હતી.
- Advertisement -
જેમાં હાલના આરોપીએ કોઈ બોગસ પેઢી ઉભી કરેલી નથી, આરોપીને પેઢી સાથે કોઈ રીતે લેવાદેવા નથી કે આરોપીના નામની પેઢી નથી જેથી જીએસટીની કે બનાવટી દસ્તાવેજોની કોઈ કલમ લાગુ કરી શકાય નહીં તથા હાલના કેસને સંલગ્ન અન્ય હાઈકોર્ટ- સુપ્રીમ કોર્ટના નોંધપાત્ર ચૂકાદાઓ રાજકોટ ડીસીબી પોલીસના સોગંદનામાઓ ધ્યાને લઈને હાલના આરોપીને જામીન મુક્ત કરતો ચુકાદો આપેલો છે. આ કેસમાં ઋષિ બગથરીયા વતી રાજકોટના વકીલ કુલદીપસિંહ બી. જાડેજા, જ્યોત્સનાબા પી. જાડેજા, રવિરાજસિંહ પરમાર, નીતાબેન સારીખડા રોકાયેલા હતા.