E-KYC કરાવવા માટે લોકોની દોડધામ, કચેરીઓમાં લાંબી લાઈનો લાગી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
રાજ્યના પુરવઠા ખાતાએ ઈ-કેવાયસી મુદ્દે ભારે કડક વલણ અપનાવ્યું છે. ગઈકાલે સાંજ પછી ઓનલાઈન એકાએક લેવાયેલા નિર્ણય અનુસાર, જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NSFA) કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી તારીખ 13મી સુધીમાં સંપૂર્ણ થયું છે, તેઓને જ પુરવઠો આપવામાં આવશે. આ સાથે જ, જે કાર્ડ હોલ્ડરોના ઈ-કેવાયસીની કામગીરી બાકી છે, તેઓને આજથી જ અનાજ, મીઠું સહિતનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં, આવા બાકી રહેલા તમામ NSFA ટેમ્પરરી કાર્ડ પણ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા છે અને આ કાર્ડ હોલ્ડરોના કાર્ડ આજથી ઓનલાઈન કોઈ પ્રક્રિયામાં દેખાશે નહીં.
રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરીએ તો અહીં ત્રણ લાખથી વધુ NSFA કાર્ડ હોલ્ડરો છે. જેમાંથી આશરે 70 ટકા કાર્ડ હોલ્ડરોએ જ ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. બાકીના 30 ટકા એટલે કે અંદાજે 80 થી 90 હજાર કાર્ડ હોલ્ડરોની કામગીરી હજુ બાકી છે, જેના કારણે તેઓનો પુરવઠો અટકી ગયો છે.
આ દરમિયાન દુકાનદાર એસોસિએશનના અગ્રણી હિતુ જાડેજા અને પરેશભાઈ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે પુરવઠા તંત્રએ ગઈકાલે સાંજે અચાનક આ નિર્ણય લીધો છે, જેના કારણે આગામી દિવસોમાં દુકાનદારો અને કાર્ડ ધારકો વચ્ચે ભારે ઘર્ષણના બનાવો બનવાની શક્યતા છે. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક દરમિયાનગીરી કરવી જરૂૂરી બની ગયું છે.
એક ચોંકાવનારી માહિતી અનુસાર, સરકારે આ વખતે એકી સાથે બે મહિનાનો પુરવઠો આપવાનો નિર્ણય લીધો છે. જો કે, ઈ-કેવાયસીના આ નવા નિયમને જોતા આગામી જૂન મહિનામાં રાજકોટ સહિત રાજ્યભરના બાકી રહેલા કાર્ડ હોલ્ડરોને પુરવઠો મળશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આ નિર્ણય ભારે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
- Advertisement -
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હવે રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જે રેશનકાર્ડનું ઈ-કેવાયસી પૂર્ણ થયેલું હશે, તેવા કાર્ડધારકોને જ રાશનનો જથ્થો મળશે. જેને પગલે આજે વહેલી સવારથી જ રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવવા માટે ઉમટી પડ્યા હતા.ઈ-કેવાયસી માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. ઘણા કાર્ડધારકો વહેલી સવારથી જ આવીને લાઈનમાં ઊભા રહ્યા હતા.
E-KYC વગર આવતા મહિનેથી નહીં મળે સસ્તું અનાજ : કુંવરજી બાવળીયા
સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મેળવવા કાર્ડધારકોએ ફરજિયાત E-KYCઈ કરાવવું પડશે.. કાર્ડધારકોએ E-KYCકરવું ફરજિયાત હોવાનું પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું. E-KYC નહીં હોય તો અરજદારોને આવતા મહિનેથી અનાજનો જથ્થો નહીં મળે તેવું તેમણે જણાવ્યું. આ સાથે E-KYC હોવા છતા સસ્તા અનાજની દુકાન પર અનાજનો પૂરતો જથ્થો ન હોવાને કારણે કાર્ડધારકોને અનાજ નથી મળતું તે પ્રકારની ફરિયાદ પર બોલતા તેમણે કહ્યું આવી કોઇ વાત નથી. તેમણે કહ્યું કે FCIના ગોડાઉનમાંથી નિગમના ગોડાઉનોમાં અને ત્યાંથી સસ્તા અનાજની દુકાનો પર જે પ્રમાણે માંગણી છે તે પ્રમાણેનું અનાજ 15 તારીખ સુધીમાં પહોંચી જાય તેવી સૂચના અપાયેલી છે, જેથી ગ્રાહકોને કોઇ તકલીફ ન પડે.. આ ઉપરાંત સરકારી ગોડાઉનમાં અનાજનો વધારાનો જથ્થો રખાતો હોવાની વાત પર બોલતા તેમણે કહ્યું કે જ્યાં સુધી FCIના ગોડાઉનની વાત છે ત્યાં સુધી તે FCIઈંવાળા જોતા હોય છે, નિગમના ગોડાઉનમાં આવો કોઇ વધારાનો જથ્થો ન રખાયો હોવાનું તેમણે કહ્યું.