ઉનાળુ વેકેશનની રજા અને ચારધામ યાત્રાનાં પગલે મુસાફરોની સંખ્યા વધતા
એરલાઈન્સ કંપનીઓએ ભાડું આસમાને પહોંચાડયું : પ્રવાસીઓ નારાજ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
લોકસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉનાળુ વેકેશનની રજા પડતાની સાથે રેલ, બસ, હવાઈ સેવામાં યાત્રીકોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટથી લાંબા અંતરની ટ્રેનો 15 જુલાઈ સુધી ફુલ છે. તો બીજી તરફ હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થતા તકનો લાભ લઈ એર લાઈન્સ કંપનીઓએ દિલ્હી એરફેરમાં તોતીંગ વધારો ઝીંકી દીધો છે. રાજકોટ-દિલ્હીની સીધી હવાઈ સેવાનું એરફેર દિન પ્રતિદિન ઉંચકાઈ રહ્યું છે આજે શનિવારે એર ઈન્ડિયાની દિલ્હી ફલાઈટનું એરફેર રૂ.19 હજાર છે તો ઈન્ડિગોનું રૂ.18 હજાર પહોંચ્યું છે. કાલે રવિવારે આ બંને ફલાઈટનું એર ફેર રૂ.24 હજાર સુધી પહોંચ્યું છે. ઉનાળુ વેકેશન સાથે ચાર ધામ યાત્રાનો શુભારંભ થથા રાજકોટ-દિલ્હી જવા યાત્રીકોની સંખ્યામાં વધારો થતા ડેઈલી દિલ્હીની બંને ફલાઈટો ફુલ ઉડી રહી છે.
દિલ્હીના એર ફેરમાં ત્રણ ગણો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં રૂ.6થી 7 હજારમાં જતા પ્રવાસીઓને હાલ ત્રણ ગણુ બમણુ એરફેર ચુકવવાની નોબત આવી છે. હાલ રાજકોટના હિરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી જવા ડેઈલી બે સીધી ફલાઈટનું ઉડ્ડયન શરૂ છે જે બંને ફલાઈટ રાત્રે 8 કલાકે ટેક ઓફ થઈ રહી છે. જેમાં પ્રવાસીઓનો ધસારો રહેતા બંને ફલાઈટ ફુલ ઉડી રહી છે. તકનો લાભ લઈ એરલાઈન્સ કંપનીઓએ એરફેર આસમાને પહોંચાડયું છે જે કારણે હવાઈ માર્ગે દિલ્હી જવું વધુ મોંઘુ બન્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીને બાદ કરતા મુંબઈ, પૂના, હૈદરાબાદ, ગોવાનાં એરફેરમાં ખાસ વધારો નથી માત્ર દિલ્હીનું જ એરફેર આસમાને પહોંચ્યુ છે.