ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
તા. 5-3-2025ના નોંધાયેલી ફરિયાદીની ફરિયાદ મુજબ ફરિયાદીને સને 2022ની સાલમાં તેના જાણીતા જયદેવભાઈ નિમાવત હસ્તક આરોપી મધુરભાઈની ઓળખાણ થયેલી, બાદમાં ફરિયાદીને આરોપી સાથે અવારનવાર ધંધા બાબતે ચર્ચા થતી. તે દરમિયાન ફરિયાદીને ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધા માટે લાયસન્સ તથા કંડલા ખાતે યુનિટ ભાડે રાખવાની જરૂરિયાત પડતાં આરોપી સાથે આ બાબતની ચર્ચા કરેલ.
આરોપી દ્વારા પોતાના જાણીતા કસ્ટમ અધિકારી દ્વારા ફરિયાદીની જરૂરિયાત મુજબ લાયસન્સ તથા યુનિટ ભાડે રખાવી દેવાની વાત કરતાં ફરિયાદીને તેના પર વિશ્ર્વાસ આવતાં તે આરોપી સાથે જે રીતે આરોપીઓ કહે તે રીતે આગળ વધવા તૈયાર થયેલા અને આરોપીઓ દ્વારા અગાઉ જ ગુનાહિત કાવતરુ રચી ફરિયાદી પાસેથી કટકે-કટકે પૂરા 1,50,60,000 અંકે રૂપિયા એક કરોડ પચાસ લાખ સાંઈઠ હજાર જેટલા રૂપિયા ઉપરોક્ત કામ કરાવી દેવાના પેટે લઈ લીધેલા અને આજદિન સુધી કોઈ કામ કરેલ નહીં કે રૂપિયા પરત નહીં કરતાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ઈ.ઓ.ડબલ્યુ. શાખા દ્વારા ફરિયાદ દાખલ થતાં આ ગુનાના કામે આરોપીઓની ધરપકડ થયેલી, જે પૈકી આરોપી મધુરભાઈ અગ્રાવત દ્વારા પોતાના વકીલ પાર્થરાજસિંહ ઝાલા હસ્તક રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલી, જે અરજી અનુસંધાને આરોપી મધુરભાઈ અગ્રાવતના વકીલ પાર્થરાજસિંહ ઝાલા દ્વારા વિવિધ દલીલો કરેલી જેવી કે અરજદાર એક વેપારી માણસ છે, સમાજમાં સારી નામના છે, પોતાના કુટુંબની જવાબદારી તેના પર હોય અને ખાલી માત્ર કોઈ ધંધાકીય વ્યવહારને અલગ રૂપ આપી આ વ્યક્તિને આરોપી બનાવી શકાય નહીં અને નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વિવિધ ચૂકાદાઓ રજૂ કરેલા. ઉપરોક્ત જામીન અરજી અનુસંધાને સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના વકીલની રજૂઆતો ધ્યાને લેતાં આરોપી મધુરભાઈ અગ્રાવતની જામીન અરજી મંજૂર કરવાનો હુકમ કરેલો છે. આ કામમાં આરોપી મધુરભાઈ અગ્રાવત વતી રાજકોટના વકીલ હુસેનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઈઝાનભાઈ સમા તથા અંકીતભાઈ ભટ્ટ તથા રહીમભાઈ હેરંજા રોકાયેલા હતા.