રાજકોટ મનપામાં બદલીનાં વધુ 8 ઓર્ડર
સોલિડ વેસ્ટ શાખાના પ્રથમ વખત કામગીરીમાં વિકેન્દ્રીકરણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકામાં કામગીરી વધુ સારી રીતે કરી શકાય તે માટે મ્યુ. કમિશ્નર આનંદ પટેલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત મ્યુ. કમિશ્નરે વધુ 8 બદલીનાં ઓર્ડર કર્યા છે. જેમાં મહત્વની બાબત છે કે, પર્યાવરણ ઈજનેરની સતા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઇતિહાસમાં પ્રથમ વખત કામગીરીમાં વિકેન્દ્રીકરણ એટલે કે કામના ભાગ પાડવામાં આવ્યા છે.
મ્યુનિ. કોર્પોરેશનમાં કમિશ્નર આનંદ પટેલે જેમ શહેરમાં સ્વચ્છતા માટે પ્રયાસો શરૂ કર્યા છે તેવી જ રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં પણ મોટી સાફસુફી કરી પ્રથમ વખત પર્યાવરણ ઇજનેરની સત્તાઓમાં કાપ મૂકીને તેનું વિકેન્દ્રીકરણ કરવાનું જાહેર કર્યું છે. આ સહિત બદલીના વધુ 8 જેટલા ઓર્ડર કરવામાં આવ્યા છે. હાલ મનપાના ત્રણેય ઝોન વચ્ચે લગભગ અઢી દાયકાથી પર્યાવરણ ઇજનેર તરીકે નિલેશભાઇ પરમાર કાર્યરત છે, તેઓ એકાદ વર્ષ બાદ નિવૃત્ત થવાના હોવાથી અત્યારથી જ મ્યુ. કમિશ્નર દ્વારા ગોઠવણ કરવામાં આવી છે.
જેમાં તાજેતરમાં સોલીડ વેસ્ટ શાખામાં મેનેજર તરીકે મૂકાયેલા બી.એલ.કાથરોટીયાને પર્યાવરણ ઈજનેરનાં હસ્તકની સફાઇ કામદારને લગતી તમામ કામગીરી, સ્વચ્છતા સર્વેક્ષણ, ઇન્ચાર્જ આસી. કમિશનરનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ રાજપથ લિ. ના કાર્યપાલક ઇજનેર તરીકે કાર્યરત જી. ડી. કુકડીયાને સોલીડ વેસ્ટ, નવા ટોયલેટ, વેસ્ટ ટુ એનર્જી પ્લાન, જુદા જુદા અન્ય પ્લાન્ટ, લીગસી વેસ્ટની કામગીરી અપાઇ છે તેમજ સોલીડ વેસ્ટના શાખાના કાર્યપાલક ઇજનેર વી. એચ.ગોહિલને નવા ટોયલેટ, જુદા-જુદા પ્લાન્ટની જે. ડી. કુકડીયા હેઠળની કામગીરી આપવામાં આવી છે.
આ ઉપરાંત વર્કશોપના નાયબ કાર્યપાલક ઇજનેર જે. એલ. શિંગાળાને મીકેનીકલ સ્વીપીંગ, ઉંઈઇને લગતી કામગીરી સોંપવામાં આવી છે. સાથે સાથે સોલીડ વેસ્ટ શાખામાં વધુ ફેરફારો પણ કરવામાં આવ્યા છે. જેમાં સેનીટેશન ઓફિસર એસ. જે. ઝખાણીયાને સ્વચ્છતા સર્વેક્ષણ, રાત્રી સફાઇ, વેસ્ટ કમ્પોઝ અંગેની વધારાની કામગીરી વધારાની સોંપાઇ છે. આ સાથે આર.જી.પટેલ, ડી.કે.સિંધવ, એમ.વી.વ્યાસને ત્રણ ઝોનમાં સ્વચ્છતા માટેનું કામ સોંપી દર 15 દિવસે ઝોનવાઇઝ અરસપરસ કામ બદલવા સૂચના આપવામાં આવી છે.