વ્યાજ ન આપું તો વારંવાર બળાત્કાર કરીને વીડિયો ઉતારતા: પીડિતા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ આસમાને આંબી રહ્યો છે અને કહી શકાય કે રાજકોટ જાણે ગુજરાતનું ક્રાઈમ કેપિટલ બની રહ્યું છે. રાજકોટમાં ગુનાખોરી બેફામ બની રહી છે. ગઇકાલે રાજકોટ શહેરના નાનામવા રોડ પર જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતી 37 વર્ષની મહિલા પર અજિતસિંહ ચાવડા સહિત 3 શખસે અગાઉ કોર્ટમાં કરેલી બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં ખુલ્લી છરી સાથે આતંક મચાવી હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના ઈઈઝટ ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે પીડિત મહિલાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવતાં કહ્યું હતું કે, ‘વ્યાજ ન આપું તો વ્યાજખોર વારંવાર બળાત્કાર આચરી વીડિયો ઉતારતો હતો.’ વધુ અહેવાલ પાના નં. 2 પર
- Advertisement -
રૂપિયા 50 હજારની રકમ વ્યાજે લીધી હતી
આ મામલે મહિલાએ મીડિયાને જણાવ્યું હતું કે મારા પતિ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે અજિતસિંહ દિલુભા ચાવડા પાસેથી રૂા.50 હજારની રકમ વ્યાજે લીધી હતી. એ બાદ વ્યાજખોર અજિતસિંહ અવારનવાર મારી સોસાયટીમા પ્રસંગમાં આવતા અને પૈસાની ઉધરાણી કરતા હતા. દૈનિક એ લોકોને 1500 રૂપિયાનું વ્યાજ જોઈતું હતું ને જો વ્યાજ ન ચૂકવી શકીએ તો તેઓ મારી પર દુષ્કર્મ આચરતા હતા અને તેનો વીડિયો પણ ઉતારતા હતા. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
..ત્યાં સુધી વ્યાજ તારે જ ચૂકવવાનું છે
પીડિત મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે તા. 03-02-2022ના રોજ તે મને ચોટીલા લઇ ગયો હતો અને દબાણ વશ મને મંદિરમા લઇ જઇ મારી ઇચ્છા વિરુદ્ધ સેથો પૂરીને કહેલું કે તું માન કે ન માન, પણ મેં હવે તારી સાથે લગ્ન કરી લીધા છે. હવે તારાથી મારા પર કાંઇ થઈ શકશે નહી’ એમ કહી બળજબરી કરી ચોટીલામાં આકાશ હોટલમાં લઇ ગયો. ત્યાં અજિતસિંહ ચાવડાના નામે આકાશ હોટલના રજિસ્ટરમાં નં.3645થી એન્ટ્રી કરાવી હતી. એ સમયે મેં આજીજી કરેલી અને કહેલું કે ’મારે પતિ છે, બે સગીર પુત્રો અને એક દીકરી છે, તમે મારી જિંદગી ખરાબ કરી નાખી છે, હવે મને છોડી દો’ એમ કહેતાં અજિતસિંહે ’તારો પતિ જયા સુધી પૂરી રકમ નહિ આપે ત્યાં સુધી વ્યાજ તારે જ વ્યાજ ચૂકવવાનું છે,’ એમ કહીને રૂમમાં પણ મારી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાંથી મને દીવ લઈ જઈને ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું.
- Advertisement -
કોઈ પૈસા નહીં માગે
પીડિત મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે અજિતસિંહના સખત દબાણ અને ધમકી તેમજ અમાનુષી અત્યાચારથી અમે ત્રાસી ગયા હતા. તે બળજબરીથી મારી ઇચ્છા વિરુદ્ધ વ્યાજની રકમ ચૂકવવા પેટે મારા જ ઘરમાં મારી પર દુષ્કર્મ આચરતો હતો અને કહેતો ’જ્યાં સુધી શરીરસુખ માણવા મળશે ત્યાં સુધી વ્યાજ નહિ દેવું પડે અને મૂળ રકમ પણ કોઈ માગશે નહિ,’ એમ ન કરીએ તો મારા સગીર બાળકોને ઉપાડી જવાની અને મારા પતિને જેલમા ધકેલી દેવાની ધમકી આપતો હતો.
છરીના ઘા ઝીંકી હુમલાખોરો ફરાર
ઘર પાસે ચોકમાં આ માથાકૂટ ચાલી રહી હતી ત્યારે રિક્ષાચાલક યુવાનની પત્ની પણ ઘરની બહાર નીકળી ડખામાં વચ્ચે પડી હતી. મહિલાને જોઇને આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેરમાં ફડાકા ઝીકી દીધા બાદ નેફામાંથી છરી કાઢી મહિલાને બે ઘા ઝીકી દઇ હુમલાખોરો નાસી ગયા હતા.
મારી ફરિયાદ પણ ન લેવાઈ
મહિલાએ આગળ જણાવ્યું હતું કે સમગ્ર મામલે મેં કંટાળીને તાલુકા પોલીસમાં અરજી કરી હતી. ત્યાં પણ મારી ફરિયાદ લેવામાં ન આવી, જેથી મેં કોર્ટમાં આ મામલે લેખિતમાં ફરિયાદ કરી એટલે અજિત મારી પર છરી વડે હુમલો કરવા આવ્યો હતો. નોંધનીય છે કે મહિલાએ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં તાલુકા પોલીસ અને ગાંધીગ્રામ પોલીસ પર ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે, જેમાં આરોપી અજિત એક પોલીસકર્મીનો સંબોધી હોવાનો ઉલ્લખે થયો છે.
દુષ્કર્મ આચર્યાની અરજી કરી હતી
આ બળાત્કારની ફરિયાદમાં કોર્ટે પોલીસ-તપાસનો હુકમ કરતાં તાલુકા પોલીસે મહિલા અને તેના પતિને પોલીસ સ્ટેશને નિવેદન આપી જવા કહ્યું હતું. જ્યારે બીજી બાજુ આરોપીને પણ કોર્ટમાં તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થયાની જાણ કરી દીધી હતી. એને પગલે ગઇકાલે સાંજે આરોપી અજિતસિંહ ચાવડા અને તેના સાથે બે શખસ મહિલાના ઘરે પહોંચ્યા હતા અને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી તેના રિક્ષાચાલક પતિને ધમકી આપી હતી. આ સાથે ફરિયાદ પાછી ખેંચી લો, એના બદલામાં પૈસા આપી દઈશું, એવી લાલચ પણ આપી હતી, પરંતુ રિક્ષાચાલક પતિએ ફરિયાદ પાછી ખેંચી લેવાની ના પાડી હતી.