કર્ણાટકના પૂર્વ ગવર્નર અને ભાજપ અગ્રણી વજુભાઈ વાળાએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી
સરદાર પટેલ સ્વતંત્ર ભારતના શિલ્પકાર હતા, અવિભાજય રાષ્ટ્રનું સ્વપ્ન તેમણે વાસ્તવિક બનાવ્યું : ડો.માધવ દવે 
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે 31મી ઑક્ટોબરના રોજ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ’રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી રાજકોટ ભાજપ દ્વારા બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ ગવર્નર અને ભાજપના પીઢ નેતા વજુભાઈ વાળાએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સિવાય ગુજરાત ભાજપ પ્રદેશના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, પૂર્વ સાંસદ મોહન કુંડારીયા સહિતના નેતાઓએ ભાવાંજલિ પાઠવી હતી.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ કહ્યું હતું કે, સરદાર પટેલ માત્ર ભારતના સ્વાતંત્ર સંગ્રામના અગ્રણી પુરૂષ નહોતાં, પરંતુ સ્વતંત્ર ભારતના શિલ્પકાર હતા, અવિભાજય રાષ્ટ્રનું સ્વપ્ન તેમણે વાસ્તવિક બનાવ્યું હતું. 562 દેશી રિયાસતોને એકતાના સૂત્રમાં બાંધવાનું તેમનું અવિસ્મરણીય યોગદાન ભારતીય ઈતિહાસમાં અક્ષય રહેશે. અખંડ ભારતનું સર્જન કરવાના તેમના આ અનન્ય અને અલ્વિતીય પ્રદાન બદલ ભારત સદા તેમનું ઋણી રહેશે. તેમજ નીડર, સ્પષ્ટ વકતા, કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર રાષ્ટ્રનો દ્રોહ કરનારાની હિંમતભેર ખબર લઈ નાખનારા, અંગત સ્વાર્થરહિત નિરપેક્ષભાવે જનતા-જનાર્દન અને રાષ્ટ્રની સેવા પાછળ પોતાની તમામ શકિત ખર્ચનાર સરદાર સાહેબે જૂનાગઢ હૈદરાબાદમાં ભજવેલા ભાગે રાષ્ટ્રીય એકતામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે.



 
                                 
                              
        

 
         
        