વૈશ્ર્વિક સ્તરે કેન્સરના 2.46 લાખ નવા કેસોની સંભાવના યુ.આઈ.સી.સી. દ્વારા રજૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
વિશ્ર્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્ર્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં કેન્સર પ્રત્યેની જાગૃતિ અને ભય દૂર કરવાનો છે. જેના માટે રાજકોટ કેન્સર સોસાયટી લગભગ છેલ્લા 6 દાયકાઓથી સૌરાષ્ટ્રમાં સતત કાર્યશીલ અને સંવેદનશીલ છે. રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ જેને આપણે રાજકોટ કેન્સર સોસાયટીના નામથી ઓળખીએ છીએ, જે સૌરાષ્ટ્ર કચ્છમાં કેન્સરની સારવાર માટે ઉત્કૃષ્ઠ સેવાઓ પૂરી પાડતી આવી છે. રાજકોટ કેન્સર સોસાયટીની સ્થાપના 1969માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય ધ્યેય જરૂરિયાતમંદ અને ઓછી આવક ધરાવતા દર્દીઓને વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવાનો છે.
- Advertisement -
અ વિશ્ર્વ કેન્સર દિવસ નિમિત્તે આયોજિત પત્રકાર પરિષદમાં રાજકોટ કેન્સર સોસાયટીના મેડિકલ ડાયરેકટર ડો. ખ્યાતી વસાવડાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે કેન્સરના દર્દીઓ રાજકોટ કેન્સર સોસાયટી ખાતે સારવાર લેવાનું પસંદ કરે છે જેનું મુખ્ય કારણ છે કે કેન્સર માટેની સંપૂર્ણ સારવાર એકછત્ર હેઠળ પૂરી પાડવામાં આવે છે તથા અનુભવી અને નિષ્ણાત તબીબોની ટીમ ઉપલબ્ધ છે. અતિઆધુનિક સાધનો અને સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત હુંફાળુ, હકારાત્મક અને પારિવારીક વાતાવરણ દર્દીઓ અનુભવે છે જે કેન્સરને હરાવવા માટે પર્યાપ્ત છે. રાજકોટ કેન્સર સોસાયટી ખાતે કેન્સરને થતું અટકાવવાના ઉપાયથી લઈને કેન્સરના અતિ ગંભીર દર્દીઓની પીડારહિત સારવાર કરી તેના જીવનની ગુણવત્તા સુધારવાના પ્રયાસો કરવામાં આવે છે.
આ વર્ષની વિશેષ થીમ છે- ‘UNITED BY UNIQUE’ જેની વિશ્ર્વ સ્તરે ત્રણ વર્ષ સુધી ઝુંબેશ ચાલશે. જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કેન્સરગ્રસ્ત દર્દીના નિદાન અને સારવારથી વધુ દર્દીના વ્યક્તિગત અનુભવો, લાગણીઓ અને આકાંક્ષાઓ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવું. છેલ્લાં 2 વર્ષમાં રાજકોટ કેન્સર સોસાયટીએ કેન્સરના નિદાન અને સારવારમાં હરણફાળ ભરેલી છે. જેમાં કેન્સરને થતું અટકાવવાના પ્રયત્નો તથા તેની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબની સારવાર કરવામાં આવે છે. હાલમાં રોજના કેન્સરના 12થી 15 ઓપરેશન, 100 જેટલી કિમોથેરાપી અને 200 જેટલા રેડીએશન (શેક) આપવામાં આવે છે.
રાજકોટ કેન્સર સોસાયટીની વર્ષ 1969માં કિસાનપરા ચોકમાં નાની હોસ્પિટલની શરૂઆતથી લઈ આજે હનુમાન મઢી ચોક નજીક 8 માળની હોસ્પિટલ સુધીની સફર દર્દીઓનો હોસ્પિટલ પ્રત્યેનો ભરોસો વ્યક્ત કરે છે. જે રાજકોટ કેન્સર સોસાયટી હંમેશા અકબંધ રાખશે અને કેન્સર સામેની લડાઈ લડતી રહેશે. આ પત્રકાર પરિષદમાં રાજકોટ કેન્સર સોસાયટીના મેડિકલ ડાયરેકટર ડો. ખ્યાતી વસાવડા, ચેરમેન ગવર્નીંગ કાઉન્સીલના સભ્યો અને ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.