પંજાબમાં શિરોમણી અકાલી દળ (SAD) ના નેતા સુખબીર સિંહ બાદલ પર હુમલો થયાના સમાચાર છે. આ હુમલામાપૂર્વ ડેપ્યુટી સીએમનો માંડ માંડ આબાદ બચાવ થયો છે ત્યારે ત્યાં હાજર લોકોની મદદથી હુમલો કરનારને પોલીસે તાત્કાલિક ઝડપી લીધો છે.
આ ઘટના અમુતસરના અતિ પ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પલ પર ઘટી હતી. પંજાબના શિરોમણી અકાલી દળના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલ પર એક અજાણ્યા શખ્સે ફાયર કર્યું હતું. આ ફાયરિંગ થતાં જ ત્યાં હજાર લોકોએ આરોપીને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની પાસેથી પિસ્તોલ પણ બરામદ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઓળખ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના ભૂતપૂર્વ સભ્ય તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 1984માં પાકિસ્તાન ગયો હતો અને પાકિસ્તાનથી પંજાબમાં હથિયારો અને વિસ્ફોટકોની દાણચોરી કરતો હતો. હુમલાખોરે ગેરિલા યુદ્ધ પર એક પુસ્તક પણ લખ્યું હોવાના અહેવાલ છે. તે બુરૈલ જેલબ્રેક કેસમાં પણ આરોપી છે અને પંજાબની જેલમાં તેની સજા પણ ભોગવી ચૂક્યો છે. હુમલાખોર વિશે એવા સમાચાર છે કે તેણે એક દિવસ પહેલા સ્થળની તપાસ કરી હતી અને આજે આ ઘટનાને અંજામ આપ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તેનું નામ નારાયણ સિંહ જણાવ્યું હતું અને ખાલસા દળ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.
સુખબીર બાદલને શું સજા મળી?
શીખ સમુદાયની ‘સુપ્રિમ કોર્ટે’ એટલે કે શ્રી અકાલ તખ્તે સુખબીર બાદલને સજા સંભળાવી છે. તે ગુરુદ્વારામાં સેવા કરશે. વાસણો ધોશે અને ચોકીદારી પણ રાખશે. શ્રી દરબાર સાહિબમાં બનેલા જાહેર શૌચાલયની પણ સફાઈ કરશે. 2007 થી 2017 દરમિયાન અકાલી દળની સરકાર દરમિયાન ધાર્મિક ભૂલો માટે જથેદાર શ્રી અકાલ તખ્તે બાદલ અને તેમની પાર્ટીના નેતાઓને સજા ફટકારી છે. અકાલી નેતાઓ સેવા આપીને સમાન સજાની ભરપાઈ કરી રહ્યા છે.
શું છે આરોપ?
અકાલ તખ્તે સુખબીર બાદલ અને તેમની કેબિનેટ સામે દોષિત પુરવાર કર્યું છે. આરોપ છે કે બાદલે ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમને ઈશનિંદા કેસમાં માફી અપાવવામાં મદદ કરી છે. આ માટે બાદલે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને રામ રહીમ સામેની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાનના કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સંગતના પૈસાથી રાજકીય જાહેરાતો કરવામાં આવી હતી. ડીજીપી સુમેધ સૈનીની નિમણૂકને ધાર્મિક અપરાધ ગણાવ્યો છે.