તુર્કિયે અને સાયપ્રસ વચ્ચે જૂની દુશ્મનીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ છેડાયો ત્યારે તુર્કિયેએ પાકિસ્તાનને ખુલ્લો સાથ આપ્યો
મોદીની સાયપ્રસ મુલાકાત પાછળનો એક ઉદ્દેશ ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોરને આગળ વધારવાનો અને મજબૂત બનાવવાનો છે
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7ની બેઠકમાં કેનેડા જતા પહેલા સાયપ્રસની મુલાકાતે જઇ આવ્યા. કેનેડાથી મોદી ક્રોએશિયા પણ જવાના છે. મોદીની સાયપ્રસની મુલાકાતની આખી દુનિયામાં ચર્ચા છે. મોદીની સાયપ્રસ મુલાકાતથી તુર્કિયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોગનને બરાબરના મરચાં લાગ્યા છે. તુર્કિયે અને સાયપ્રસ વચ્ચે જૂની દુશ્મની છે. સાયપ્રસને પરેશાન કરવા માટે અર્દોગન તેનાથી થાય એ તમામ પ્રયાસો કરતા રહે છે. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ છેડાયો હતો. ભારત સાથેના સંઘર્ષમાં તુર્કિયેએ પાકિસ્તાનને ખુલ્લો સાથ આપ્યો હતો. પાકિસ્તાને જે ડ્રોન ભારત પર છોડ્યા હતા એ તુર્કિયેએ જ આપેલા હતા. તુર્કિયેના આ કરતૂત બાદ આપણો દેશ પણ તુર્કિયેને પાઠ ભણાવવાના મૂડમાં છે.
વડાપ્રધાન મોદી સાયપ્રસ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડુલાઇડસે મોદીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાયપ્રસમાં સીઇઓ ફોરમને પણ સંબોધન કર્યું. સાયપ્રસમાં ભારતીય મૂળના સાડા અગિયાર હજાર જેટલા લોકો વસે છે. ભારત અને સાયપ્રસ વચ્ચે વર્ષે દહાડે 126 મિલિયન અમેરિકન ડોલરનો વેપાર થાય છે. છેલ્લા થોડા વર્ષોથી બંને દેશ વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે. સાયપ્રસ ભારતના ટોપ દસ રોકાણકારો પૈકીનો એક દેશ છે. છેલ્લા પચીસ વર્ષમાં આપણા દેશે સાયપ્રસમાંથી 12 બિલિયન અમેરિકન ડોલરની એફડીઆઇ મેળવી છે. સાયપ્રસ નાનકડા ટાપુનો દેશ છે. આ દેશની વસતિ માત્ર સાડા બાર લાખ જેટલી છે. સાયપ્રસ યુરોપિયન યુનિયનનું સભ્ય છે. સાયપ્સ અગાઉ બ્રિટિશ કોલોની હતું. 2004માં સાયપ્રસ યુરોપિયન યુનિયન સાથે જોડાયું એ પછી 2008માં સાયપ્રસે યુરોનું ચલણ અપનાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાયપ્રસ મુલાકાત પાછળનો એક ઇરાદો આઇએમઇસી એટલે કે ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોરને આગળ વધારવાનો અને મજબૂત બનાવવાનો છે.
તારીખ 9મી સપ્ટેમ્બર 2023ના રોજ આપણા દેશે અમેરિકા, યુએઇ, સાઉદી અરેબિયા, ફ્રાંસ, જર્મની, ઇટાલી અને યુરોપિયન યુનિયન સાથે મળીને આ કોરિડોરનું પ્લાનિંગ કર્યું હતું. આ કોરિડોરની શરૂઆત આપણો દેશ જી-20નું યજમાન હતું એ દરમિયાનમાં કરવામાં આવી હતી. આ કોરિડોરને ચીનની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવના વિકલ્પ તરીકે પણ વિકસાવવામાં આવી છે. ચીનની સાથે તુર્કિયેથી પણ આ કોરિડોર સહન થતી નથી.
- Advertisement -
• તુર્કિયે અને સાયપ્રસ વચ્ચે જૂની દુશ્મની છે
સાયપ્રસ અંગ્રેજ હકુમતમાંથી વર્ષ 1960માં મુક્ત થયું હતું. આઝાદી પહેલાથી જ સાયપ્રસમાં ગ્રીક સાયપ્રસ બહુમતી અને તુર્કિયે સાયપ્રસ લઘુમતી વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. વર્ષ 1974માં તુર્કિયેએ સાયપ્રસ પર હુમલો કર્યો હતો. તુર્કિયેના હુમલાના કારણે આ ટાપુનું બે ભાગમાં વિભાજન થયું હતું. તુર્કિયેએ એક ભાગને તુર્કિયે સાયપ્રસ તરીકે જાહેર કર્યો. જો કે, તેને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી નહીં. તુર્કિયે એ સમયથી સાયપ્રસને હેરાન કરતું રહ્યું છે. સાયપ્રસ સાથેના કોઇના સંબંધો તુર્કિયેથી સહન થતા નથી. ભારત અને તુર્કિયે નજીક આવી રહ્યા છે એટલે તુર્કિયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોગનના પેટમાં તેલ રેડાયું છે.
મોદીની મુલાકાતથી સાયપ્રસ ખુશખુશાલ છે.
તુર્કિયે અને ભારત વચ્ચે એક સમયે ખૂબ જ સારા સંબંધો હતા. જ્યારથી તુર્કિયેમાં રેચેપ તય્યપ અર્દોગનની સરકાર આવી છે ત્યારથી બંને દેશ વચ્ચેના સંબંધો બગડ્યા છે. ઓકટોબર, 2019માં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તુર્કિયેની મુલાકાતે જવાના હતા. મોદી તુર્કિયે જાય એ પહેલા જ રાષ્ટ્રપતિ અર્દોગને કાશ્મીર મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા મોદીએ છેલ્લી ઘડીએ તુર્કિયે જવાનું માંડી વાળ્યું હતું. એ પછી આપણા દેશે તુર્કિયે સાથેના સંબંધો ઘટાડ્યા હતા. આપણી સરકારે તારીખ પાંચમી ઓગસ્ટ, 2019ના રોજ કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવીને જમ્મુ કાશ્મીર અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા એ પછી દુનિયાના મોટા ભાગના દેશ કાશ્મીર મુદ્દે ભારતની સાથે રહ્યા હતા. તુર્કિયેએ પાકિસ્તાનને સાથ આપ્યો હતો અને ભારતની વિરૂદ્ધમાં બયાનો આપ્યા હતા.
રાષ્ટ્રપતિ અર્દોગને એ પછી યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બ્લીમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. આપણો દેશ પહેલેથી તુર્કિયેને કહેતો રહ્યો છે કે, અમારી અંગત બાબતોમાં માથું મારવાનું બંધ કરો. તુર્કિયે તો પણ સમજ્યું નહીં. ઓપરેશન સિંદૂર વખતે તુર્કિયે ખુલ્લેઆમ પાકિસ્તાનને સપોર્ટ કર્યો. આપણો દેશ હજુ તુર્કિયેને પાઠ ભણાવવાનો છે. તુર્કિયેના કહેવાથી અઝરબૈજાન પણ પાકિસ્તાનની પડખે ચડ્યું હતું. આપણા દેશે અઝરબૈજાનને પણ ઇશારો કરી જ દીધો છે કે, અમારી સામે પડવાના પરિણામ તમારે ભોગવવા પડશે. મોદીએ સાયપ્રસની મુલાકાત લઇને તુર્કિયેને ચિંટીયો ભર્યો છે. તુર્કિયેને હજુ પોતાની ભૂલનું ભાન થાય એવા પ્રયાસો આપણો દેશ કરતો રહેવાનો છે!