ગેરકાયદે કાર્યવાહી અટકાવવા સરકારમાં રજૂઆત કરાશે : યુવા લોયર્સ એસો.
ટ્રાફિક પોલીસ તંત્ર જજની ભૂમિકામાં : જૂના ટ્રાફિક
ઈ-મેમાની ઉઘરાણી કરવાની સત્તા પોલીસ તંત્ર પાસે નથી
ઈ-મેમાની ઉઘરાણી કરવાની સત્તા પોલીસ તંત્ર પાસે નથી
કોર્ટ કાર્યવાહી પેન્ડિંગ હોવા છતાં નાગરિકોને કાયદાનો ભય બતાવી ગેરકાયદે થતી કાર્યવાહી
છેલ્લાં ઘણાં સમયથી રાજકોટ અને ગુજરાતની પ્રજા છેલ્લાં ઘણાં સમયથી રાજમાર્ગો પર સી.સી.ટી.વી. કેમેરાઓ લગાડવામાં આવેલ છે તે કેમેરાઓનો ઉપયોગ વાહનચાલકો – પ્રજાજનો વિરૂદ્ધ કરવામાં આવી રહેલ છે. ખરી હકીકતે સી.સી.ટી.વી. કેમેરાઓ નાખવાનો ઉદ્દેશ લોકોના જાન-માલના રક્ષણ માટે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દબાણો અટકાવવા માટે હતો પરંતુ આ સી.સી.ટી.વી. કેમેરાઓનો ઉપયોગ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હેરાન પરેશાન કરી અને ખૂબ જ મોટા સમાધાન શુલ્કના નામે મેમો આપીને ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બંધારણીય અધિકારોનો ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જે અંગે એસો. દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી અને જે અંગે લોકોના અનેક મુદ્દાઓની રજૂઆત પ્રજાજનોમાંથી સંસ્થા પાસે આવી હતી. જેથી યુવા લોયર્સ દ્વારા વિવિધ મુદ્દાઓ, કાનુની બાબતોનો અભ્યાસ કરીને એક વિગતવાર આવેદન પત્ર માનનીય વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના તથા સ્થાનિક કલેકટર, કમિશનર, પ્રજાના પ્રતિનિધિઓને આપવામાં આવેલ હતું. ઈ-મેમા સંદર્ભે સંસ્થા દ્વારા ગત વર્ષે ઝુંબેશ ચલાવવામાં આવેલ તેમાં ગુજરાતની પ્રજા તથા ઈલેકટ્રીક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સોશ્યલ મીડિયામાં બહોળો પ્રતિસાદ મળેલ છે. ખોટા ઈ-મેમોના કારણે લોકો ત્રાહિમામ થઈ ગયેલ છે, અને આવી અનેક ફરિયાદો-રજૂઆતો આવેલ છે જે સંદર્ભે સરકારમાં તમામ જગ્યાઓએ રજૂઆત કરવામાં આવેલ હતી. અને રાજકોટની નામદાર અદાલતમાં ફોજદારી રાહે તથા દીવાની રાહે પણ કેસ દાખલ કરવામાં આવેલ છે જેમાં પોલીસ તંત્ર દ્વારા ઈ-મેમો (નોટીસ) સંદર્ભે કરવામાં આવતી કાર્યવાહી પડકારવામાં આવેલ છે જે નામદાર અદાલતમાં ન્યાયિક નિર્ણય માટે પેન્ડિંગ છે.
- Advertisement -
સીસીટીવી કેમેરાના ઉપયોગ દ્વારા ઈ-મેમો આપી હાલમાં માત્ર વાહનચાલકો પાસેથી મોટી રકમના દંડ વસુલવાનું સાધન બનાવી દીધેલ છે તેમજ ગેરકાયદેસર બાંધકામો, દબાણો, ન્યુસન્સ તેમજ રસ્તા ઉપર થયેલ દબાણો અને લોકોને જે ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ અને ટ્રાફિક સમસ્યાઓ ચાલવા અંગે જે મુશ્કેલીઓ જે તેની કાર્યવાહી કરવામાં આવતી નથી.
ટ્રાફિક પોલીસ દ્વારા રૂબરૂ અપાતા મેમામાં સ્પષ્ટપણે જણાવેલ છે કે વાહનચાલકે પોતે કરેલ ગુન્હા બાબતે ટ્રાફિક પોલીસ પાસે માંડવાણ કરવું એટલે કે સમાધાન શુલ્ક ભરવો કે કોર્ટમાં જવું તે નક્કી કરવાનો અધિકાર વાહનચાલકનો છે અને ઈ-મેમોમાં આવી કોઈ જાણકારી આપવામાં આવતી નથી. અને રકમ પરાણે ભરવા માટે પ્રેશર કરી શકાય નહીં. આમ સમાધાન શુલ્કના નામે ટ્રાફિક પોલીસ પોતે જજ બની ગયેલ છે અને લોકોને દબાણ કરી ખોટી કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી મોટી રકમ સમાધાન શુલ્કના નામે લેવામાં આવી રહેલ છે.
- Advertisement -
કોઈ પણ વ્યક્તિ પોતાનું વાહન લઈને રોડ ઉપર પસાર થાય ત્યારે તેને ટ્રાફિક પોલીસ અટકાવી તેની પાસે ગાડીના ઓરિજીનલ કાગળો જેમ કે આર.સી.બુક, વિમા પોલીસી, ડ્રાઈવીંગ લાયસન્સ કે પી.યુ.સી.ની ઓરિજીનલ કોપી જોવા માટે માગણી કરે છે ત્યારે તે વ્યક્તિ પાસે પેપર્સ હાજર ન હોય તો વાહન ડિટેઈન કરી લેવામાં આવે છે, ખરી હકીકત કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિ કાગળો વગર પસાર થાય તો ટ્રાફિક પોલીસ પેપર્સ અટકાવે અને કાગળો ન હોય તો કાયદા મુજબ 7 દિવસમાં ઓરિજીનલ કાગળો બતાવવાનો સમય આપવો જોઈએ. આમ ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે વાહન ડિટેઈન થતાં હોય તે અંગેની પ્રજાજનો પાસેથી ઘણી બધી ફરિયાદો મળેલ છે. પોલીસ તંત્ર દ્વારા એમ.વી. એક્ટની કલમ 207 મુજબ વાહન ડિટેઈન કરવાની ધમકી આપવામાં આવે છે પરંતુ એમ.વી. એક્ટની આ કલમમાં પેન્ડિંગ રકમ સંદર્ભે વાહન ડિટેઈનની કાર્યવાહી કરી શકાતી નથી તેમ છતાં મીડિયાના માધ્યમો દ્વારા ખોટી માહિતી આપી પ્રજાજનોમાં ભય ફેલાવવામાં આવી રહેલ છે. સી.આર.પી.સી. કલમ 468 મુજબ કોઈ પણ સરકારી લેણું વસુલવા માટે જે તે કલમની જોગવાઈ મુજબ 6 માસમાં કોર્ટમાં કેસ દાખલ કરવો પડે જો આ કેસ દાખલ કરવામાં ન આવે તો આપોઆપ લિમિટેશન મુજબ કાર્યવાહી થઈ શકે નહીં.
ગુજરાતના લોકો કાયદાને માન આપીને ચાલનારા છે અને કાયદાઓનું પાલન કરતી પ્રજા રહેલ છે. ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા છેલ્લાં ઘણાં સમયથી મોટા શહેરોમાં જ્યારથી સી.સી.ટી.વી. કેમેરા નાખવામાં આવેલ છે ત્યારથી વાહનચાલકોને અને મોટરકાર ચાલકોને યેનકેન પ્રકારે કાયદાની કલમોનું ખોટું અર્થઘટન કરી ભયમાં રાખવા માટે ખોટા ઈ-મેમા ઈસ્યુ કરવામાં આવી રહેલ છે અને જે ઈ-મેમોમાં કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવી રહેલ નથી. પેન્ડિંગ ઈ-મેમોની રકમ જો કોઈ વ્યક્તિ દ્વારા ન ભરવામાં આવે તો તેની સામે પોલીસ તંત્ર દ્વારા નામદાર અદાલતમાં સમયમર્યાદામાં કેસ દાખલ કરવો જોઈએ અને નામદાર અદાલત કાર્યવાહી કરી શકે પરંતુ રાજકોટના પોલીસ તંત્ર દ્વારા આજદીન સુધી પેન્ડિંગ ઈ-મેમોની રકમ સંદર્ભે એક પણ કેસ રાજકોટની ટ્રાફિક કોર્ટમાં દાખલ કરવામાં આવેલ નથી અને માત્ર ને માત્ર સ્થળ ઉપર વાહનચાલકોને વાહન ડિટેઈન કરવાની ધમકી આપી મોબાઈલમાં રકમ બતાવી રકમ ભરવા ધમકી આપવામાં આવે છે. પોલીસતંત્ર દ્વારા કોઈપણને લેખિત નોટીસ આપવામાં આવતી નથી અને ફોનમાં અને રૂબરૂ પેન્ડિંગ નાણાંની ઉઘરાણી કરવામાં આવે છે તે ગેરકાયદેસર છે અને કાયદાની વિપરીત છે.
લોકો પોલીસ તંત્રની આ પ્રકારની કાર્યવાહીથી ખૂબ જ ત્રાહિમામ પોકારી ગયેલ છે અને માનસિક ત્રાસ અનુભવી રહેલ છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક આ તમામ પ્રકારના લોકો સાથે જોડાયેલ પ્રશ્ર્નનું નિરાકરણ લાવવા કાર્યવાહી કરવા અરજ છે. અને સંસ્થા દ્વારા ફરીવાર ટૂંક સમયમાં આ બાબતે ઉચ્ચ સ્તરે સરકારમાં રજૂઆત કરવામાં આવનાર છે.
યુવા લોયર્સના સિનિયર જુનિયર એડવોકેટની વિશાળ ટીમ પ્રમુખ કિરીટ નકુમના માર્ગદર્શન હેઠળ ક્ધવીનર હેમાંશુ પારેખ તથા અજય પીપળીયા, વિરેન રાણીંગા, આનંદ પરમાર, નિવીદ પારેખ, જગદીશ કુવાડીયા, નિશાંત જોશી, રિતેશ ટોપીયા, દર્શન ભાલોડી, સંજય ટોળીયા, ધવલ પડીયા, હર્ષિલ શાહ તથા અન્ય એડવોકેટો સક્રિય રહેલ છે.
કાયદાના આધારો
(1) નામદાર સુપ્રિમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા માર્ગદર્શક ચુકાદાઓ આપેલ છે. જે ચુકાદાઓ મુજબ સુપ્રિમ કોર્ટ દ્વારા 1995 (1) એસ.સી.સી. 304ના ચુકાદમાં એવું જણાવેલ છે કે દંડ કરવાની સત્તા માત્ર સેકશન 116 દ્વારા ક્રિમિનલ કોર્ટને જ છે. કોઈ પણ ઓફિસર કોઈ દંડ જાતે કરી શકતાં નથી અને નામદાર કોર્ટ પણ આવી ફરિયાદ આવે ત્યારે જ તેને સ્વીકારી શકે છે.
(2) એ.આઈ.આર. 2000 (બોમ્બે) 246 બોમ્બે હાઈકોર્ટના ચુકાદા મુજબ જે કેસમાં દંડની જોગવાઈ હોય તે દંડ ફોજદારી કાર્યવાહી કર્યા બાદ જ થઈ શકે, અધિકારીઓને દંડ કરવાની કોઈ સત્તા નથી. તે પ્રકારનો સિદ્ધાંત ઉપરોક્ત ચુકાદામાં પ્રતિપાદિત કરેલ છે.
(3) સી.આર.પી.સી. 468 મુજબ કોઈપણ સરકારી લેણું વસુલવા માટે જે કલમમાં દંડની જોગવાઈ હોય તેમાં વધુમાં વધુ 6 માસમાં તંત્ર દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવો પડે, જો આ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે તો તે સરકારી લેણું (દંડ) આપોઆપ લિમિટેશન એક્ટ મુજબ રદ થવાને પાત્ર છે.
આમ ઉપરોક્ત વિગતો કાયદાઓની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાયદાકીય સમજણ આપ્યા વગર ખોટી કાયદાકીય વાતો કરીને સમાધાન શુલ્કના નામે પ્રજાજનો પાસેથી મોટી રકમો વસુલ કરવામાં આવે છે તેની સામે યુવા લોયર્સ એસો. નામદાર કોર્ટમાં ફરિયાદો દાખલ કરવાની તૈયારી કરી રહેલ છે.
સમાધાન શુલ્કની મોટી રકમો ન હોવી જોઈએ અને માનવતા અભિગમ દાખવી અને પ્રજાજનોને ઓછી રકમમાં સમાધાન શુલ્ક સ્વીકારવું જોઈએ તેવી અનેક રજૂઆતો લોકો દ્વારા કરવામાં આવી રહેલ છે.
ટ્રાફિક વાયોલન્સની ખોટી નોટીસ એટલે કે ઈ-મેમો મોકલી હેરાન પરેશાન કરી ખર્ચના ખાડામાં પ્રજાજનોને ઉતારવાનો ઈરાદો તંત્ર દ્વારા કરવામાં આવે છે જે કાયદા વિરૂદ્ધ છે અને ખોટા ઈ-મેમો સામે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી ફરિયાદ કરનારને સી.આર.પી.સી. કલમ 250 હેઠળ વળતર મળે તેવી પણ કાયદામાં જોગવાઈ છે.