ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી
રાજયમાં વધતી ગુનાખોરી, લુખ્ખા તત્વોની દાદાગીરી સામે સરકાર આકરા પાણીએ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજયમાં વધતી ગુનાખોરીને પગલે વખતોવખત કાયદો-વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થાય છે. રાજયભરના અસામાજીક ગુંડા તત્વોનુ લીસ્ટ બનાવીને કાર્યવાહી કરવા રાજય પોલીસવડાના આદેશ બાદ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ તમામ પોલીસ અધિકારીઓ સાથે બે કલાક લાંબી બેઠક કરી હતી. કાયદો-વ્યવસ્થાના મુદ્દે કોઈ બાંધછોડ કે ઢીલાશ નહીં રાખવાની સ્પષ્ટ તાકિદ કરવામાં આવી હતી. ગૃહમંત્રીએ એક નિવેદનમાં એમ કહ્યુ છે કે અસામાજીક તત્વો સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસને પણ છોડવામાં નહીં આવે અને બરતરફી સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું હતું કે જે પોલીસ અધિકારીઓ લુખ્ખા અને અસામાજિક તત્વો સાથે સંબંધ રાખશે તેમની નોકરી જશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર આવા તત્વોને કોઈપણ ભોગે બક્ષશે નહીં અને તેમની સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અસામાજિક તત્વોની તપાસ અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો કોઈ પોલીસવાળો આવા તત્વો સાથે બેસતો-ઊઠતો જણાશે અથવા તેમની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક રાખતો હશે તો તેને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. આ ઉપરાંત, વારંવાર આતંક મચાવનારા લોકો સામે પગલાં લેવામાં નિષ્ફળ રહેનાર સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.