રાજસ્થાનના ચુરુ જિલ્લામાં ભારતીય વાયુસેના (IAF)નું એક વિમાન ક્રેશ થયું છે. સૂત્રોએ જણાવ્યું છે કે તે જગુઆર ફાઇટર પ્લેન છે.
મંગળવારે સવારે રાજસ્થાનના ચુરુના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામમાં લશ્કરી વિમાન ક્રેશ થયું છે. ઘટના બાદ તરત જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. ગ્રામજનોની માહિતી મુજબ આકાશમાં જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ ક્રેશ થયેલ વિમાન ભારતીય સેના સાથે સંકળાયેલું હોવાનું કહેવાય છે. કાટમાળ નજીકથી 2 પાયલોટના મૃતદેહ મળી આવ્યા છે. જે સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યા છે. મૃતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા સેના અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અકસ્માતના સમાચાર ફેલાતા જ રતનગઢમાં હંગામો મચી ગયો હતો. કલેક્ટર અભિષેક સુરાણા અને સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે, સેનાની બચાવ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચશે, જેથી સ્થળને સીલ કરી શકાય અને તપાસ શરૂ કરી શકાય.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટના પછી તરત જ ખેતરોમાં આગ લાગી હતી, જેને ગ્રામજનોએ જાતે જ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના વિગતવાર કારણોની પુષ્ટિ સેના દ્વારા કરવામાં આવશે. હાલમાં, અકસ્માતની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે, પરંતુ સેના અને વહીવટીતંત્રની ગતિવિધિઓને કારણે આ મામલો અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યો છે.