પી.ટી.ઉષાએ અમારો સાથ આપવાની જગ્યાએ ટીકા કરી તે વ્યાજબી નથી-બજરંગ પુનિયા
ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ બૃજભૂષણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડન અને પહેલવાનોને ધમકાવવાના વિરોધમાં સ્ટાર રેસલરો દિલ્હીના જંતર-મંતર ઉપર ધરણા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી.ટી.ઉષાએ આ ધરણાને દેશની છબી ખરાબ કરનારા અને શિસ્તના ધજાગરા કરી રહ્યાનું નિવેદન આપતાં જ મામલો બીચક્યો છે. પી.ટી.ઉષાના આ નિવેદન બાદ ધરણા કરી રહેલા ખેલાડીઓએ કહ્યું કે, આટલા દિગ્ગજ ખેલાડી આ પ્રકારનું નિવેદન આપશે તેવી અમને અપેક્ષા ન્હોતી !
- Advertisement -
પી.ટી.ઉષાએ જણાવ્યું કે, પહેલવાનો દ્વારા રસ્તા પર કરવામાં આવી રહેલું પ્રદર્શન દેશની છબી ખરાબ કરી રહ્યું છે. ઓલિમ્પિક સંઘે કુશ્તી મહાસંઘના કામકાજનું સંચાલન સુચારું રીતે થાય તે માટે એક સમિતિની રચના કરી છે જેમાં પૂર્વ દિગ્ગજ ખેલાડીઓના સામે કરવામાં આવ્યા છે. ખેલાડીઓ આ સમિતિ ઉપર ભરોસો મુકવાની જગ્યાએ ધરણા કરી રહ્યા છે તે વ્યાજબી નથી.
તેમના આ નિવેદન બાદ પહેલવાન બજરંગ પુનિયાએ કહ્યું કે, અમને તેમની પાસેથી આવો જવાબ મળશે તેવી અપેક્ષા ન્હોતી. અમને તો એમ હતું કે તેઓ અમારો સાથ આપો પરંતુ તેમણે આવું નથી કર્યું. જ્યારે વિનેશ ફોગાટે કહ્યું કે, અમે લોકોએ પી.ટી.ઉષાને ન્યાય નથી મળી રહ્યો તે અંગે ફોન કર્યો હતો પરંતુ તેમણે અમારો સાથે આપ્યો નથી.
આ બધાની વચ્ચે રાષ્ટ્રીય મહિલા પંચના પ્રમુખ રેખા શર્માએ મહિલા પહેલવાનો દ્વારા કથિત યૌન ઉત્પીડનની ફરિયાદ પર દિલ્હી પોલીસ કમિશનર પાસે કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. રેખા શર્માએ કહ્યું કે, અમે મીડિયા સાથે વાત નથી કરતા તેનો એવો અર્થ નથી કે અમે કંઈ નથી કરી રહ્યા. અમે આ મામલે ઝીણવટભરી કાર્યવાહી કરી રહ્યા છીએ.
- Advertisement -
જ્યારે રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કેટલાક ખેલાડીઓ જંતર-મંતર પર બેઠા છે તેમની સાથે કોણે વાત કરી ? હું 12 કલાક તેમની સાથે બેઠો હતો. તેમની વાત સાંભળી, કમિટી બનાવી જેથી મામલાની નિષ્પક્ષ તપાસ થઈ શકે.