માલિયાસણ ટોલનાકાથી ખેડૂતો અને પ્રજાને તોતિંગ ટોલ ચૂકવવો પડશે, અનેક સમસ્યાઓ સર્જાશે
ખેડૂતની જમીન પર ટોલનાકું કરવા તંત્ર ફરી સક્રિય
- Advertisement -
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર માલિયાસણ પાસે બનનારા ટોલનાકા માટે ખેડૂતોની જમીનને સંપાદનના એવોર્ડમાં વિસંગતતા કરી ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. માલિયાસણ પાસે ખેતીની જમીનમાં ટોલનાકું બનાવવાના આયોજનમાં કરાયેલા જમીન સંપાદનના એવોર્ડમાં વિસંગતતા કરાઇ છે. આ સાથે બિનખેતી કરવા પર જમીનને બજાર ભાવ પ્રમાણે વળતર અપાયું છે, જ્યારે સંપાદન થયેલી ખેતીની જમીનનું વળતર બજાર ભાવથી 10 ટકાથી પણ ઓછું અપાયું છે. ખેડૂતોને અપાયેલા વળતર અને લાભમાં તફાવત રખાયો છે. સંપાદન અર્થે જાન્યુઆરીમાં ખેડૂત ખાતેદારને જાણ કર્યા વિના તંત્ર દ્વારા ખેતરમાં ઊભા મોલમાં હિટાચી, જેસીબી ફેરવી દેતા પાકમાં નુકસાન થયું હતું. હજુ તંત્રની નજર વધુ ખેડૂતોની જમીન પર છે.
માલિયાસણ ટોલનાકા વિરોધ સમિતિ દ્વારા ગૃહમંત્રી સુધી રજૂઆત, રાજકીય આગેવાનો રસ લે તેવી માંગ
ખેડૂતોની જમીન સહિત વાહનચાલકોના ખિસ્સાં ખંખેરવા માટે તંત્રની ચાલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર બામણબોર સેક્શનને 6 માર્ગીય કરતા માલિયાસણ પાસે બનતા ટોલનાકાથી ખેડૂતો અને પ્રજાને તોતિંગ ટોલ ચૂકવવો પડશે, ઉપરાંત અનેક સમસ્યાઓ પણ સર્જાશે એવું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવેલા હતા ત્યારે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ રોડ ઉપરના જીઆઇડીસી, ટ્રાન્સપોર્ટ સંગઠનો, ખેડૂતો, ગામજનો અને સૌરાષ્ટ્ર પંથકના નાગરિકો વતી માલિયાસણ ટોલનાકા વિરોધ સમિતિ દ્વારા જે માલિયાસણ પાસે ટોલનાકુ બનવાનું છે એના વિરોધ અંગે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે રાજકોટ કલેકટર અરુણ મહેશબાબુએ એવું જણાવ્યું કે, હવે આ ટોલનાકુ બનવાનું નથી, ચિંતા કરશો નહીં, પણ તંત્ર દ્વારા ટોલનાકુ બનાવવા માટે હાલમાં ખેડૂતોની જમીનનો કબ્જો લેવા ફરીથી પ્રયત્નો શરૂ થઈ રહ્યા છે જે બિલકુલ વ્યાજબી નથી. માલિયાસણ ટોલનાકા વિરોધ સમિતિના જણાવ્યા અનુસાર પ્રશાસન દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાયનું રાજકીય લોકોએ નિરાકરણ લાવવું જોઈએ. ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ રજૂઆત કરી હતી ત્યારે રાજકોટ લોકસભાના સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ તથા રાજકોટ શહેરના અનેક રાજકીય તથા સામાજિક આગેવાનો હાજર હતા. આમ, આ સમગ્ર મામલાથી રાજકીય આગેવાનો પણ પરિચિત હોય તેઓ અંગત રસ દાખવી માલિયાસણ ટોલનાકું ન બનવા દે તેવી માંગ માલિયાસણ ટોલનાકા વિરોધ સમિતિ દ્વારા કરવામાં આવી છે.
માલિયાસણ ટોલનાકાથી શું સમસ્યા સર્જાશે?
રાજકોટ – અમદાવાદ હાઈવેની 6 માર્ગીયકરણની પ્રક્રિયા હાલ ચાલુ છે, તેમાં માલિયાસણ ગામ પાસે ટોલનાકું બનાવવાનું આયોજન છે. આ ટોલનાકું શહેરથી ખૂબ જ નજીક અને શહેરના કુવાડવા, સણોસરા, નવાગામ જીઆઇડીસી પેહલા બનવાનું છે. સરકારી ખરાબાની ઘણી જમીન હોવા છતાં માલિયાસણની સીમમાં ખેડૂત મિત્રોની જમીન ઉપર ટોલનાકું બનવાનું છે જેથી ખેડૂતોને મોટી નુકશાની છે, શહેરના ખેતપેદાશો સંગ્રહ કરવાના મોટા ભાગના ગોડાઉન જ્યાં છે એની પહેલા આ ટોલપ્લાઝા બનશે જેનાથી શહેરના નાગરિકોને મોંઘવારીનો ડામ પડશે. માલિયાસણ ગામ પાસે ટોલનાકું બનતા શહેરના અલગ અલગ ઉદ્યોગ ઝોનથી જીઆઇડીસી સુધી માલની અવરજવર પર ટોલનો માર પડશે. નવા એરપોર્ટની પહેલા ટોલનાકું બનતા એરપોર્ટ જતા આવતા ટ્રાફિકની સમસ્યા ઉદભવશે તથા ટોલ પણ ભરવો પડશે. શહેરી વિસ્તારમાં બનતા આ ટોલનાકાની બીજી આડઅસરો છે, જેમકે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ, ટ્રાફિકના પ્રશ્નો વગેરે. શહેરના માર્કેટ યાર્ડમાંથી ખરીદી થયેલી મોટા ભાગની ખેત પેદાશો અને અન્ય વસ્તુઓને સંગ્રહ કરવાના ગોડાઉન ટોલનાકાની બીજી બાજુ હોવાથી અવરજવરમાં ટોલ ભરવો પડશે, જેનાથી વસ્તુના ભાવમાં પણ વધારો થશે. જેને લઇ માલિયાસણ ગામના ખેડૂતો, ટ્રાન્સપોર્ટર્સે ઉગ્ર વિરોધ કર્યો છે.