જેનો કોઈ ઉપાય નથી એવા વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી
કથામૃત :
એક ભાઈ પોતાના નાનકડા દીકરાને ખૂબ પ્રેમ કરતા હતા. ઓફિસથી આવ્યા બાદનો લગભગ મોટા ભાગનો સમય એમના આઠ વર્ષના દીકરા સાથે જ પસાર કરતા. એકવાર આ નાનો દીકરો મિત્રો સાથે નદીએ નહાવા માટે ગયો. નદીના વહેણમાં તણાઇ ગયો અને થોડા સમય પછી માત્ર એનુ મૃત શરીર હાથ લાગ્યું. પેલા ભાઈ તો ગાંડા જેવા થઈ ગયા. જેમ માણસને શ્વાસ વગર જીવવું મુશ્કેલ પડે, એમ આ ભાઈને પોતાના લાડકવાયા વગર જીવવું મુશ્કેલ લાગતું હતું. આખો દિવસ એકલા બેસીને રડ્યા કરે. કોઈ એને બહાર લઈ જવાનો પ્રયાસ કરે તો ક્યાંય બહાર પણ ન જાય. કંઈ ખાવાપીવામાં પણ ધ્યાન ન રાખે. બસ, દીકરાને યાદ કરીને રડ્યા રાખે. એક દિવસ રડતાં રડતાં જ એને ઊંઘ આવી ગઈ. ઊંઘમાં એને એક સ્વપ્ન આવ્યું. એ ભગવાનના દરબારમાં પહોંચી ગયા. એને તો જે જોઈતું હતું તે મળી ગયું કારણ કે ઘણાં સમયથી ભગવાનને ફરિયાદ કરવાની ઈચ્છા હતી કે, ‘મારી પાસેથી મારો દીકરો કેમ છીનવી લીધો.’ એ ભગવાન પાસે પહોંચ્યા.
- Advertisement -
ભગવાન સિંહાસન પર બેઠા હતા અને તેની આસપાસ કેટલાય નાનાં-નાનાં દેવદૂત જેવા બાળકો બેઠા હતાં. બધાં બાળકોના ચહેરા પર સ્મિત હતું અને હાથમાં એક નાનો પ્રજ્વલિત દિવો હતો. આ દૃશ્ય આંખોને ટાઢક આપે એવું હતું. આ ભાઈનું ધ્યાન ગયું કે આ બધાં બાળકોમાં એક બાળક એવો છે કે એનો દિવો ઓલવાયેલો છે અને એના ચહેરા પર સ્મિત નથી. જરા ધ્યાનથી જોયું તો એ બાળક બીજું કોઈ નહીં એનો પોતાનો જ દીકરો હતો. બાપ દોડીને દીકરા પાસે ગયો. દીકરાને બાજુમાં બોલાવીને પૂછ્યું, બેટા, આ બધાં લોકોના દિવા પ્રજ્વલિત છે તારો જ દિવો બુઝાયેલો કેમ છે અને તારા ચહેરા પર સ્મિત કેમ નથી? તને કોઈ તકલીફ છે ? છોકરા એ કહ્યું, પપ્પા, બધાં બાળકોના દિવા પ્રગટાવવામાં આવે છે, તેમ મારો દિવો પણ પ્રગટાવવામાં આવે છે. પણ તમારા આંસુને કારણે એ ઓલવાઇ જાય છે. મારો ઓલવાયેલો દિવો જોઈને મને ખૂબ દુ:ખ થાય છે. મારા આ ઓલવાયેલા દિવાનું અને વિલાયેલા ચહેરાનું કારણ તમે જ છો. સપનું પૂરું થયું. આજે પહેલી વખત ઘણાં સમય પછી બાપની આંખમાં આંસુને બદલે ચહેરા પર સ્મિત હતું; અને એ મિત્રોને મળવા ઘરની બહાર નીકળ્યા.
બોધામૃત
જીવન એક એવી યાત્રા છે, જેમાં જાણીતી વ્યક્તિની વિદાય અને અજાણી વ્યક્તિનું આગમન થયા જ કરશે. જો વિદાયને યાદ કરીને રડ્યા કરીશું, તો આગમનને કેવી રીતે આવકારી શકીશું? સત્યનો સ્વીકાર કરતા શીખીશું તો જ જીવનનો સાચો આનંદ માણી શકીશું.
- Advertisement -
અનુભવામૃત
જીવનનું અંતિમ ધ્યેય મૃત્યુ છે.
-સિગ્મન ફ્રોઈડ



