ખેડૂતોને વિવિધ ખેતીલક્ષી સહાયથી લાભન્વિત કરાયા
‘સોલાર રૂફ ટોપ યોજનામાં રાજ્યમાં સૌથી વધુ વિજળીનું ઉત્પાદન રાજકોટ જિલ્લામાં થઈ રહ્યુ છે’ -ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ
‘ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર સદા કટિબદ્ધ છે’ -ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી
રાજકોટ – રાજકોટ તાલુકાના કોઠારિયા ગામે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને કિસાન સન્માન દિવસની ઉજવણી થઇ હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીરી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પાંચમી ઓગસ્ટે રાજયભરમાં યોજાઇ રહેલા ‘‘કિસાન સન્માન દિવસ’’ નિમિત્તે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કહ્યું હતું કે સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. જેના થકી ખેડૂતોનું કલ્યાણ થાય, આર્થિક ઉન્નતિ થાય તે જોવાનો રાજયસરકારનો આશય છે. આપણા રાજ્યમાં લોકોને ૨૪ કલાક વીજળી મળી રહે છે. ખેડૂતોને દિવસે પણ વીજળી આપવા માટે રાજયસરકારે ‘‘કિસાન સૂર્યોદય યોજના’’ અમલી બનાવી છે. ‘‘સોલાર રૂફ ટોપ યોજના’’ હેઠળ રાજ્યમાં સૌથી વધુ વિજળીનું ઉત્પાદન રાજકોટ જિલ્લામાં થઈ રહ્યુ છે. કચ્છમાં દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે.

- Advertisement -
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ કહ્યું હતું કે ખેડૂતોને માટે રાજ્ય સરકાર દ્વારા ‘‘જ્યોતિર્ગ્રામ યોજના’’, ખેડુતોને રાત્રે પણ વિજળી મળી રહે તે માટેની ‘‘કિસાન સૂર્યોદય યોજના’’, ખેડૂતોને યોગ્ય ભાવો માટે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની વસ્તુની ખરીદી ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’’ સહિતની અનેક યોજનાઓ અમલી બનાવી છે. આમ ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર સદા કટિબદ્ધ છે.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે કહ્યું હતું કે ખેડૂતોને સરકારી તમામ યોજનાનો લાભ મળે તે માટે સરકાર અથાગ પ્રયત્ન કરી રહી છે. ત્યારે ખેડૂતોએ પણ આ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર વિતરણ, ગાય નિભાવ યોજનાના, તારની વાડ યોજનાના, સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજનાના અને એફ.પી.ઓ.ને મંજૂરીપત્રો/હુકમોનું વિતરણ કરાયુ હતું. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે ‘‘કિસાન પરિવહન યોજના’’ના દસ વાહનોનું ફલેગ ઓફ કરાયુ હતું.
- Advertisement -

મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. મહેમાનોનું ફુલ અને પુસ્તકોથી સ્વાગત કરાયુ હતું. સીટી સુપ્રીટેન્ડન્ટ વી.જે.મહેતાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મુખ્ય કાર્યક્રમનું પ્રસારણ કરાયુ હતું.
આ કાર્યક્રમમાં અગ્રણી ચેતનભાઈ પાલ, પ્રકાશભાઈ કારિયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, અધિક્ષક ઈજનેર એન.જી. કારિયા, નાયબ ખેતીવાડી અધિકારી બી.એમ.આગઠ સહિતના અધિકારીઓ, નગરસેવકો, ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.


