પોરબંદર ખારવા સમાજના આગેવાનો દ્વારા દરિયાદેવની પૂજા અને નવા કોટવાલની વરણી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.18
દરિયાઈ નુતનવર્ષના અવસરે પોરબંદર ખારવા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી યોજાઈ હતી. ખારવા સમાજના આગેવાનો દ્વારા પરંપરાગત રીતે દરિયાદેવની પૂજા કરવામાં આવી હતી. ખારવા સમાજના પ્રમુખ અને આગેવાનો એ દરિયામાં ખાંડ, દૂધ અને પુષ્પ અર્પણ કરી, આવનારા વર્ષ માટે મચ્છીમારી માટે લાભદાયી રહે અને સાગરપુત્રોની રક્ષા થાય તેવી પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ જીવાભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ ભીખુભાઈ જુંગી, સમાજના પંચપટેલ-ટ્રસ્ટીઓ, માજીવાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, પોરબંદર માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમીટી મેમ્બરો, પોરબંદર માછીમાર પિલાણા એસોસીએશનના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી તથા કમીટી મેમ્બરઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
ખારવા પંચાયત મઢી ખાતેથી ઢોલ શરણાઈ સાથે નિકળીને અસ્માવતી ઘાટ ખાતે પહોંચ્યા હતા, દરિયાદેવની પૂજામાં દરીયાને મીઠો બનાવવા માટેની ભાવનાથી દરિયાની અંદર ખાંડની પધરામણી કરવામાં આવી હતી. લોકો શ્રીફળ વધેરી તેની પ્રસાદી આરોગીને દરિયામાંથી પાણીનો કળશ ભરી પોતાના વાહનમાં પ્રસાદીરૂપે રાખે છે. ઉપરાંત મહિલાઓ પણ દરિયાકાંઠે ધૂપ દીપ કરવા અને દરિયાદેવને ખાંડ અર્પણ કરી ત્યારબાદ વહાણવટાનો પ્રારંભ થાય છે. ખારવા સમાજની પરંપરા અનુસાર નવા મુકાદમ (કોટવાલ) ની વરણી પણ કરવામાં આવી. આ પરંપરાગત ઉત્સવમાં ખારવા સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ, સુખ-સમૃદ્ધિ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી. વર્ષો જૂની પરંપરા મુજબ વહાણના કેપ્ટન (માલમ) ખારવા સમાજની મઢીએ જાય છે અને ત્યાં ખારવા સમાજના વાણોટને દરિયાદેવના પૂજન માટે આમંત્રણ આપે છે અને તેની હાજરીમાં દરિયા દેવનું પૂજન કરવામાં આવે છે. આ ભવ્ય ઉજવણી દ્વારા પોરબંદર ખારવા સમાજે પોતાની સંસ્કૃતિ અને પરંપરાની અનોખી ઝલક દર્શાવી, જેનાથી સમસ્ત સમાજમાં ઉત્સાહ અને આનંદની લહેર છવાઈ હતી.
કોટવાલ બદલાય છે
વહાણવટું નવું વર્ષ શરૂ થાય એટલે ખારવા સમાજના કોટવાલ પણ બદલાય છે જેમાં એવી પરંપરા રહી છે કે દરિયા દેવના પૂજન દરમિયાન દરિયાની રેતીમાં કોટવાલની છડ્ડી (લાકડી) રાખવામાં આવે છે. આ લાકડી સમાજના વહાણો દ્વારા ઉપાડવામાં આવે છે અને પંચ પટેલ દ્વારા નવા કોટવાલની નિમણૂક અપાય છે.
- Advertisement -