PGVCL તોડકાંડમાં એન્જિનિયર કોટડિયા, લાઈનમેન લાઠિયા અને નરસિંહનાં ગેરકાનૂની કૃત્યમાં વરુણ બર્નલવાલ ભાગીદાર
ગેરકાયદે વીજ કનેકશન કટ કાંડમાં વીજતંત્રના એમડી પણ સામેલ?
- Advertisement -
રાજકોટ વીજતંત્રના MD વરુણ બર્નલવાલ રજા પર ઉતરી ગયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વીજતંત્ર દ્વારા ‘રાજકીય હવાલો’ લઈને કારખાનાનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ સર્જાયો છે. આ સમગ્ર મામલો અદાલતમાં હોવા છતાં ‘ઉપરવટ’ જઇને કરાયેલી કાર્યવાહીમાં વીજતંત્રનાં એન્જિનિયર કોટડિયા, લાઈનમેન લાઠિયા અને નરસિંહએ તોડ કર્યાની શહેરભરમાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન રાજકોટ વીજતંત્રના એમડી વરુણ બર્નલવાલ રજા ઉપર ઉતરી ગયા છે.
- Advertisement -
શહેરના રણછોડનગર વિસ્તારમાં મનહરલાલ વાઢેરના નામે સાડીના કારખાનાનું વીજ જોડાણ છે. આ કારખાના વિશે પારિવારિક સંપતિ વિવાદ ચાલી રહ્યો છે અને સમગ્ર મામલો ઘણા વર્ષોથી અદાલતમાં છે. વીજતંત્ર પણ આ હકીકતથી વાકેફ છે અને ભુતકાળમાં વીજતંત્રના અધિકારીઓએ પણ સ્થળનું રોજકામ કરાવ્યું હતું અને સમગ્ર દસ્તાવેજી વિગતો મેળવી હતી. આ પારિવારિક વિવાદમાં રાજકીય માથાઓ મેદાનમાં આવતા તેના ઇશારે વીજતંત્રના એમડી વરુણ બર્નલવાલ, એન્જિનિયર કોટડિયા, લાઈનમેન લાઠિયા અને નરસિંહએ રાતોરાત વીજ જોડાણ કાપી નાખ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોએ એમ જણાવ્યું છે કે, કૌટુંબિક ઝઘડાનો ગેરલાભ લઈ નેતાજી વિવાદીત જમીન સસ્તામાં પડાવી લેવા માંગે છે તેવું ચર્ચાઈ રહ્યું છે. આ મામલે સામાકાંઠાનાં એક નેતાજીના ઈશારે ગેરકાનૂની રીતે સાડીના કારખાનાનું વીજ કનેકશન કાપી નાખવામાં રાજકોટ વીજતંત્રના એમડી વરુણ બર્નલવાલનો પણ હાથ હોય તેઓ રજા ઉપર ઉતરી ગયા છે. કાનૂની વિવાદ હોવા છતાં વીજ જોડાણ કાપવાની વીજ તંત્રની આ ‘હિંમત’ના ઘેરા પ્રત્યાઘાતો પડવાના ભણકારા છે.
ઉપરાંત આ કાર્યવાહીને પણ કાનૂની પડકાર ફેંકવામાં આવે તેવા સંકેત છે. નિયમોનુસાર અદાલતી વિવાદ વચ્ચે કોઇ કાર્યવાહી ન થાય પરંતુ વીજતંત્ર દ્વારા ‘રાજકીય હવાલો’ લઇને આ કારનામું કરી નાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે. રાજકોટ વીજતંત્રના એમડી વરુણ બર્નલવાલ સહિત એન્જિનિયર કોટડિયા, લાઈનમેન લાઠિયા અને નરસિંહએ નેતાજીનો હવાલો લઈને કબજાવાળી મિલકતમાં કબ્જેદારને હેરાન કરવા માટે વીજજોડાણ કાપી નાખવાનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાડીનું કારખાનું વર્ષે 3 લાખ રૂપિયા બિલ ભરતું છતાં કનેકશન કપાયું!
રાજકોટ વીજતંત્ર દ્વારા રણછોડનગર વિસ્તારમાં આવેલા જે સાડીના કારખાનાનું વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે તે સાડીનું કારખાનું વર્ષે 3 લાખ રૂપિયા જેટલી વીજબીલ ભરતું હતું. આમ છતાં રાજકીય ઈશારે વીજતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ તોડ કરી સાડીના કારખાનાનું વીજ કનેકશન ખોટી રીતે કાપી નાખ્યું હતું. સાડીના કારખાનાનું વીજ કનેકશન કાપી નાખવામાં આવતા હવે વીજ તંત્રને જે નુકસાન થશે તેની ભરપાઈ કોણ કરશે એ જોવું રહ્યું.