ભગવાન શંકરની પૂજા બાબતે ઝઘડો થતા ત્રણ શખ્સોએ પ્રકાશ સોનારાની હત્યા કરી
રામદેવ ડાંગર, મહીપત ડાંગર અને સતીષ બાલાસરા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગઈકાલે ખંઢેરીમાં રહી જમીન મકાનનું કામ કરતા 44 વર્ષનાં પ્રકાશ કાનાભાઈ સોનારા ઉપર કારમાં આવેલા રામદેવ સહિતના 3 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં લોહી લુહાણ થઈને ઢળી પડેલા પ્રકાશનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો. આ અંગે મૃતકનાં ભાઈ વિજયભાઈ કાનભાઈ સોનારાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં મૃતક અને આરોપીઓ વચ્ચે મંદિરમાં દર્શન કરવા મુદ્દે ઝઘડો થયો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે મૃતકના ભાઈ વિજય સોનારાની ફરિયાદ પરથી ખંઢેરીના રામદેવ લક્ષ્મણ ડાંગર, મહીપત લક્ષ્મણ ડાંગર અને સતીષ મેરામ બાલાસરા વિરુદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. વિજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવારે મારા મોટાભાઇ પ્રકાશભાઇને અમારા ગામમાં રહેતા રામદેવ લક્ષ્મણભાઇ ડાંગર આહિર સાથે બપોરના ત્રણેક વાગ્યે અમારા ગામમાં આવેલા શંકર ભગવાનના મંદિર પાસે મંદિરમાં પૂજા કરવા બાબતે ઝઘડો થયો હતો અને ઝઘડો થયા બાદ હું ત્યાં જતાં પ્રકાશભાઇ ત્યાંથી જતા રહ્યા હતા. અને રામદેવ ડાંગરે મને કહેલું કે તારો ભાઇ અત્યારે મારી સાથે ઝઘડો કરી જતો રહ્યો છે. તેને સમજાવ જે કે મારી સાથે ખોટા ઝઘડા ન કરે અને હવે તારા ભાઇ પ્રકાશને તું માર કે તેને હુ મારું ? તેવો સવાલ કર્યો હતો.
આટલું કહી મારા પિતા પ્રકાશભાઇ ઘરેથી તેઓને મળવા જવાનું છે, તેમ કહીને ગયા હોવાની વાત મારા ભત્રીજા દર્શને કરી હતી. બાદમાં આશરે સાડા આઠેક વાગ્યે મને મારા બીજા ભત્રીજા ભરત જેઠાભાઇ સીનારાનો ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે, અત્યારે તમારા ભાઇ પ્રકાશભાઇ જામનગર હાઇ-વે રોડ ઉપર જમાવડો હોટલ સામે રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં બેભાન પડેલા છે. આથી હું તેમજ મારા મોટા ભાઈ સુરેશભાઇ બંને લોકો તુરંત જ જમાવડો હોટલ સામે આવેલી પાનની કેબીન પાસે જઈને જોતા પ્રકાશભાઇને કોઇએ માથાના ભાગે, કપાળના ભાગે અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યાનું જણાયું હતું.