મણિપુરમાં 833થી વધુ ઘરોને નુકસાન, પૂર્વોત્તરમાં 40થી વધુનાં મોત
આસામમાં એરફોર્સે 500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડયા, સિક્કિમમાં 1500થી વધુ પ્રવાસી ફસાયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.02
પૂર્વોત્તર ભારતમાં વરસાદ, ભૂસ્ખલન અને પૂરે સતત બીજા દિવસે ભારે કેર મચાવ્યો છે. આસામમાં રવિવારે 10 મોટી નદીઓ જોખમી સ્તરથી ઉપર વહેતા 78,000થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મૂશળધાર વરસાદના કારણે રાજ્યના 15 જિલ્લા જળબંબાકાર થઈ ગયા છે. પૂર્વોત્તરમાં છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 40થી વધુ લોકોનાં મોત થયા છે તેમજ અનરાધાર વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે આગામી સમયમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે.
- Advertisement -
પૂર્વોત્તર ભારતમાં આસામ, અરૂણાચલ, સિક્કિમ, મણિપુર અને ત્રિપુરામાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે. આસામના બરઈગ્રામ-દુલ્લાબચેરા ખંડ પર ટ્રેકથી ઉપર પાણી વહેતા પ્રવાસી ટ્રેન વ્યવહરા ખોરવાઈ ગયો છે. રાજ્યમાં એસડીઆરએફ સહિત વિવિધ એજન્સીની ટીમો રાહત અને બચાવ કામમાં રોકાઈ છે. ભારતીય એરફોર્સે ખુરઈ હેઈક્રુમાખોંગમાં 182 લોકોને એરલિફ્ટ કર્યા હતા. ઈમ્ફાલ પૂર્વ તથા પશ્ચિમના વિસ્તારોમાંથી 408 લોકોને બહાર કાઢ્યા હતા.
ત્રિપુરામાં સતત થઈ રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્રિપુરામાં 1,300થી વધુ પરિવારોએ રાહત છાવણીમાં આશરો લેવાની જરૂર પડી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે આસામ, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ અને મણિપુરના રાજ્યપાલને તેમના રાજ્યોમાં થઈ રહેલા ધોધમાર વરસાદનો સામનો કરવા શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે. અધિકારીઓએ કહ્યું કે, વરસાદના કારણે ભૂસ્ખલન થતાં મુખ્ય માર્ગમાં અવરોધો ઊભા થઈ ગયા છે.
સિક્કિમમાં વરસાદના કારણે 1,500થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા છે. અરૂણાચલ પ્રદેશમાં સરકારે છેલ્લા 48 કલાકમાં ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં મૃતકોના પરિવારને 4-4 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં પણ ભૂસ્ખલનના કારણે બે લોકોનાં મોત થયા હતા.