ગાંધી ચોક પાસે રિલાયન્સ શોપિંગ સેન્ટર જર્જરીત હાલતમાં
અનેક રજૂઆતો બાદ પણ કાર્યવાહી ન થતાં રોષ
- Advertisement -
આ જર્જરિત ઈમારત માનવ જીવનો ભોગ લેશે તો જવાબદારી કોની ?
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ગાંધી ચોક પાસે વાંદરીવાળી શેરીમાં આવેલ રિલાયન્સ શોપિંગ સેન્ટર વર્ષો જુનું હોય તેની મોટાભાગની દુકાનો ભાડે આપવામાં આવી છે. આ બીલ્ડીંગ એટલી હદે જુનું અને જર્જરિત થઈ ચુક્યું છે કે દુકાનદાર પણ અંદર જતા ડરે છે. બિલ્ડીંગની છત પરથી અવાર નવાર મસમોટા ગાબડા પડે છે જેથી જો વહેલી તકે આ બિલ્ડીંગને પાડવામાં નહીં આવે તો કોઈ નિર્દોષ ભાડુઆત, ત્યાંથી પસાર થતાં વાહનચાલકો અથવા રાહદારીઓનો ભોગ લેવાઈ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ઈમારતનું રીપેરીંગ કામ કરવા ભાડુઆત દ્વારા અનેક વખત તેના માલિકોને જાણ કરવામાં આવી હોવા છતાં તેણે કોઈ નક્કર પગલા લીધા નથી. આ ઉપરાંત વેપારી દ્વારા પણ એક વર્ષ કરતા વધારે સમય પહેલા પાલિકામાં લેખિત રજૂઆત કરતા પાલિકા દ્વારા ત્રણ નોટીસ આપી ઈમારત દુર કરવા સુચના આપવામાં આવી હતી જોકે દુકાનદાર પાલિકાની નોટિસને ઘોડીને પી ગયો હતો.
આ ઉપરાંત કલેકટર દ્વારા પણ આ બાબતે મોરબી શહેર મામલતદાર અને ચીફ ઓફિસરને પત્ર લખી વેપારી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે મુજબ જર્જરિત બિલ્ડીંગ બાબતે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા વેપારીઓ, ત્યાંથી આવતા જતા ગ્રાહકો તેમજ વાહનચાલકોની સુરક્ષાને ધ્યાને લઇ યોગ્ય પગલા લેવા આદેશ કરાયો હતો જોકે આ આદેશને પણ એક વર્ષ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. જે બાદ વેપારીઓ દ્વારા મુખ્યમંત્રીને પણ ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી હતી જેથી મુખ્યમંત્રી દ્વારા પણ મોરબી જીલ્લાના વહીવટી તંત્રને આ બાબતે કડક પગલા લેવા સુચના આપી હોવા છતાં આજ દિન સુધી આ જર્જરિત બિલ્ડીંગ દુર કરવામાં આવી ન હોવાથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.