અરબી સમુદ્રમાં ચોમાસાના આગમન માટે પ્રતીક્ષા કરવી પડશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ચડ ઉતર થઈ રહ્યો છે. આ દરમિયાન માઠા સમાચાર પ્રાપ્ત થયા છે કે, સૌરાષ્ટ્રમાં ચોમાસા બેસવા માટે ની ગતિ મંદ પડી ગઈ છે. હાલ આ માટે કોઈ પ્રકારની સાનુકૂળ સ્થિતિ નથી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના નિષ્ણાંત ધીમંત વઘાસીયા જણાવ્યું હતું કે, નૈઋત્યનું ચોમાસુ મંગળવારથી દક્ષિણ ગુજરાત માં દાખલ થઈ શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં નવસારી ભરૂચ અને વડોદરા સુધી ચોમાસુ સ્થિર રહેશે. અત્યાર સુધી બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં ચોમાસાની સમાંતર ગતિ વિધિ શરૂ થઈ હતી. પરંતુ હવે બંગાળની ખાડીમાંથી પૂવોતર ભારત અને લાગુ પડતા મઘ્ય ભારત તરફ આગળ વધવા સાનુકુળ પરિસ્થિતિ શરૂ થતાં અરબી સમુદ્રમાં ચોમાસાના આગમન માટે પ્રતીક્ષા કરવી પડશે. હજુ એક અઠવાડિયું ચોમાસા માટે સાનુકૂળ સ્થિતિ ન હોવાથી ગતિ મંદ પડી જવા પામશે અને 23 જૂન બાદ હાલની સ્થિતિએ વરસાદ થવાની શક્યતા છે.
ખેડૂતોએ પણ બે ઇંચ વરસાદ થાય તે બાદ વાવણી કરવાની સલાહ આપી હતી. દરમ્યાન મંગળવારે પણ તાપમાનનો પારો ચડ ઉતર રહ્યો હતો. સતત પાંચમા દિવસે પણ રાત્રેનું તાપમાન 30 ડિગ્રી રહ્યા બાદ મંગળવારે સવારે લઘુતમ તાપમાનનો પારો 28.2 ડિગ્રીએ સ્થિર થયો હતો. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77 ટકા રહેતા બફારાએ લોકોને પરસેવે રેબજેબ કરી નાખ્યા હતા. મંગળવારે બપોરે વાતાવરણમાં 40 ટકા ભેજ સાથે મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી થયું હતું. દિવસ દરમિયાન પવનની પ્રતિ કલાકની ઝડપ 9.7 કિલોમીટરની રહી હતી. આમ મંગળવારે પણ સવારે બફારો અને બપોરે ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.