મલ્ટિનેશનલ કંપની માઈક્રોસોફ્ટમાં 1.81 લાખ કર્મચારીઓ કાર્યરત
જુદા-જુદા વિભાગોનું પુર્નગઠન થઈ રહ્યું હોવાથી જરૂરિયાત પ્રમાણે કર્મચારીઓને છૂટા કરાયા, નવી ભરતી ટૂંક સમયમાં થશે: માઈક્રોસોફ્ટ
- Advertisement -
માઈક્રોસોફ્ટે દુનિયાભરની ઓફિસોમાંથી 1800 કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ કહ્યું હતું કે અલગ અલગ વિભાગોનું પુર્નગઠન થઈ રહ્યું હોવાથી જરૂરિયાત પ્રમાણે કર્મચારીઓને છૂટા કરાયા છે. હવે આગામી સમયમાં વિભાગોની જરૂરિયાત પ્રમાણે નવી ભરતી પણ થશે.
મલ્ટિનેશનલ ટેકનોલોજી કંપની માઈક્રોસોફ્ટના એક નિવેદનમાં જાહેરાત કરવામાં આવી હતી કે કંપની કુલ કર્મચારીઓમાંથી 1 ટકા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી રહી છે. દુનિયાભરની ઓફિસોમાં માઈક્રોસોફ્ટના જુદા-જુદા વિભાગોમાં 1.81 લાખ કર્મચારીઓ કાર્યરત છે. એમાંથી એક ટકા જેટલા એટલે કે 1800 કર્મચારીઓની છટણી થઈ છે. માઈક્રોસોફ્ટે આ પાછળ વિભાગોનું પુર્નગઠન જવાબદાર હોવાનું કહ્યું હતું.
માઈક્રોસોફ્ટે કહ્યું હતું: દુુનિયાભરમાં ઘણી કંપનીઓમાં જે નિયમિત પ્રક્રિયા હોય છે એવી પ્રક્રિયા માઈક્રોસોફ્ટે પણ હાથ ધરી છે. કુલ કર્મચારીઓમાંથી જ ખૂબ જ નાની સંખ્યાના કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી વિવિધ વિભાગોના નવિનીકરણ અને પુર્નગઠન માટે કરવામાં આવી છે. એ પછી નવેસરથી ભરતી પણ કરાશે.
માઈક્રોસોફ્ટમાં પાંચ વર્ષમાં પહેલી વખત કર્મચારીઓની છટણી થઈ છે. છેલ્લાં ઘણાં સમયથી માઈક્રોસોફ્ટે ભરતી પણ ઓછી કરી દીધી છે. માઈક્રોસોફ્ટની આ બદલાયેલી પોલિસી માટે વૈશ્વિક મંદીનું કારણ આગળ ધરવામાં આવે છે. જોકે, આંકડાં પ્રમાણે છેલ્લા ત્રિમાસિકમાં માઈક્રોસોફ્ટની આવકમાં વધારો થયો હતો.
- Advertisement -
અગાઉ ટ્વિટરે એચઆર વિભાગમાંથી 30 ટકા કર્મચારીઓની છટણી કરી હતી. એ ઉપરાંત અન્ય કંપનીઓએ પણ ભરતી સદંતર ઓછી કરી દીધી છે. જેમાં એનવિડિયો, સ્નેપ, ઉબર, સ્પોટિફાઈ, ઈન્ટેલ, સેલ્સફોર્સ વગેરેનો સમાવેશ થાય છે. ક્લાઉડ કંપની ઓરેકલે પણ હજારો કર્મચારીઓને છૂટા કરવાનો સંકેત આપ્યો છે.