પોલીસને તલવાર બતાવી ધમકાવનાર બે આરોપી અહીં રહેતાં
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરમાં આજે (29 મે, 2025) સવારે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અજિત મિલ ચાર રસ્તા પાસે એસ.પી. ઓફિસ પાછળના વિસ્તારમાં આવેલી આ વસાહતમાં અંદાજે 400થી વધુ છાપરાં અને નાનાં-મોટાં કાચાં-પાકાં મકાનો હતાં, જેને બે કલાકની અંદર પાંચ જેસીબી અને આઠથી વધુ હિટાચી મશીનથી તોડી પાડવામાં આવ્યાં છે.
- Advertisement -
અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી. વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યાં હતાં, જેમાંના 76 લોકો હજી પણ અહીં રહેતા હતાં. આજે વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એ બાદ ફરીથી દબાણ ન થાય એ માટે કોર્પોરેશન દ્વારા દીવાલ બનાવી દેવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન બાદ હવે સમગ્ર કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કાટમાળ દૂર કરાયા બાદ ફરીથી લોકો કબજો ન કરે તે માટે કોર્પોરેશન દ્વારા દિવાલ બનાવી દેવામાં આવશે.
અકબરનગરના છાપરામાં રહેતા તમામ લોકોએ પોતાનો સામાન બહાર લાવીને રોડ ઉપર મૂકી દીધો છે. અત્યારે તમામ લોકો રોડ ઉપર બેસી રહ્યા છે.
A ડિવિઝન એસીપી આર. ડી. ઓઝાએ જણાવ્યું હતું કે, બાપુનગરના અકબરનગરના છાપરાના ડિમોલિશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2 એસીપી, 9 પીઆઇ, 27 પીએસઆઈ,
400 પોલીસકર્મી સહિત 10 SRP સેક્સન બંદોબસ્તમાં મૂકવામાં આવી છે.
શાંતિપૂર્ણ રીતે મકાનોના ડિમોલિશન કરવામાં આવ્યા છે.અકબરનગરના છાપરામાં રહેતા લોકો ઘર તોડી પાડ્યા બાદ પતરા-લોખંડના દરવાજા સહિતની ચીજ-વસ્તુઓ ભેગી કરીને લઈ જઈ રહ્યા છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બે કલાકમાં તમામ 450 જેટલા ઝુંપડાઓ અને નાના-મોટા કાચા-પાકા મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે.
એક સાથે પાંચથી વધુ હિટાચી મશીન અને જેસીબીની મદદથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. વર્ષોથી મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં આ દબાણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
15000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે: ડે. મ્યુ. કમિશનર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે, બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરના છાપરા વિસ્તાર તરીકે ઓળખાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં 5 જેસીબી, 2 હિટાચી બ્રેકર, 7 હિટાચી મળી 14 વિશાળ મશીનરી સાથે 100 મજૂર સાથે ડિમોલિશનની પ્રક્રિયા કરવામાં આવી છે. ડિમોલિશનના અંતે 15000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. ગેરકાયદે બાંધકામોને જેતે સમયથી નોટિસ આપવાની શરૂઆત કરી દેવાઈ હતી. આખરે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે.