દિલ્હી કૂચ : શંભૂ બોર્ડર પર ખેડૂતોને ફરી અટકાવાયા
પુષ્પ વર્ષા માત્ર નાટક હતું, અમારા પર રબરની ગોળીઓ છોડાઇ જેમાં આઠ ખેડૂતો ઘાયલ થયા : આગેવાનો
ખેડૂતો હથિયાર સાથે આવ્યા હોવાથી ઓળખ કરીને જ આગળ જવા દેવાશે : હરિયાણા પોલીસ
- Advertisement -
ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓ સાથે ખેડૂતોએ દિલ્હી કૂચ આગળ વધારી હતી. શુક્રવાર બાદ રવિવારે ફરી એક વખત ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી હતી, જોકે હરિયાણાની પોલીસે શંબૂ બોર્ડર પર લોખંડના ખિલ્લા ધરબી રાખ્યા હતા, સાથે જ પગપાળા આગળ વધી રહેલા ખેડૂતો પર આંસુ ગેસના શેલનો મારો ચલાવ્યો હતો. રવિવારે ખેડૂતોનું આ આંદોલન ૩૦૦ દિવસ પૂર્ણ કરી ચુક્યું છે. ખેડૂતોને પહેલા હરિયાણા પોલીસે ચા-બિસ્કૂટ આપ્યા અને પુષ્પવર્ષા કરી બાદમાં આંસુ ગેસના શેલ છોડયા. જેમાં અનેક ખેડૂતો ઘવાયા હતા.
સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મઝદૂર સંગઠન સાથે જોડાયેલા ખેડૂતો ફેબુ્રઆરી મહિનાથી દિલ્હી-હરિયાણાની શંભૂ બોર્ડર પર ધરણા કરી રહ્યા છે. રવિવારે આ ખેડૂતોનો એક જથ્થો હથિયારો, ટ્રેક્ટર-ટ્રોલી કે કોઇ પણ પ્રકારના વાહન વગર શાંતિથી દિલ્હી તરફ પગપાળા જ આગળ વધી રહ્યો હતો કે તરત જ પોલીસ દ્વારા આંસુ ગેસના શેલ છોડાયા હતા. ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે કહ્યું હતું કે સાંજ સુધીમાં આઠ જેટલા ખેડૂતો ઘવાયા હતા જેમાંથી એકની સ્થિતિ વધુ કથળતા ચંડીગઢના હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે પહેલા ખેડૂતો પર ફુલ વરસાવ્યા બાદમાં રબરની ગોળીઓ અને આંસુ ગેસના કૈન છોડયા હતા.
બીજી તરફ શંભૂ બોર્ડર પર શાહાબાદના ડીએસપી રામકુમારે કહ્યું હતું કે ખેડૂતોએ જો આગળ વધવુ હોય તો પહેલા દિલ્હી પ્રશાસન તરફથી અનુમતિ લેવી પડશે. અમે આગળ વધી રહેલા ખેડૂતોની ઓળખ માગી હતી જેને આપવાની ના પાડી દેવાઇ હતી. જે બાદ અમે આગળની કાર્યવાહી કરી હતી. શંભૂ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતે કહ્યું હતું કે પોલીસ ખેડૂતોની પાસેથી તેમના ઓળખપત્ર માગી રહી છે. અમે અમારી ઓળખ આપવા તૈયાર છીએ પરંતુ પોલીસે અમને આગળ જવા દેવા જોઇએ, પોલીસ કહે છે કે પહેલા દિલ્હીથી અનુમતી લઇને આવો. હરિયાણા પોલીસનો દાવો છે કે ખેડૂતો હથિયાર સાથે આવ્યા છે માટે તેમની ઓળખ કર્યા બાદ જ આગળના પગલા લેવાશે. પોલીસે આંસુ ગેસ, વોટર કેનનો મારો ચલાવતા ખેડૂતોએ હાલ દિલ્હી કૂચને અટકાવી દીધી હતી. હવે સોમવારે ખેડૂત નેતાઓની બેઠક મળશે જે બાદ આગળના પગલાની જાહેરાત કરવામાં આવશે.