અમરેલી જિલ્લામાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. સાવરકુંડલા પંથકમાં મિનિ વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ખાસ કરીને સેંજળ ગામે બાગાયતી ખેતી અને રહેણાંક મકાનોને વ્યાપક નુકસાન થતા જનજીવન પ્રભાવિત થયું છે.
કેરી, કેળા અને પપૈયાનો પાક નષ્ટ
- Advertisement -
મળતી માહિતી અનુસાર, સેંજળ ગામના સીમ વિસ્તારમાં ખેડૂતોએ મોટા પાયે બાગાયતી પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ કુદરતી આફતે મહેનત પર પાણી ફેરવી દીધું છે. આંબા પર આવેલી કેરીઓ ભારે પવનના કારણે ખરી જતાં આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ભીતિ છે. જ્યારે પવનની ગતિ એટલી તેજ હતી કે કેળાના આખેઆખા લૂમ ધરાશાયી થયા છે અને પપૈયાના છોડ પણ ભાગી જતાં ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે.

રહેણાંક મકાનોમાં પણ ભારે નુકસાન
- Advertisement -
માત્ર ખેતી જ નહીં, ગામમાં રહેણાંક વિસ્તારમાં પણ વાવાઝોડાએ તાંડવ મચાવ્યું છે. ભારે પવનને કારણે અનેક મકાનોના સિમેન્ટના પતરા અને શેડ કાગળની જેમ ઉડી ગયા હતા. આ ઉપરાંત કેટલીક જગ્યાએ દિવાલો પણ ધરાશાયી થઈ છે. છત ઉડી જતાં ઘરમાં રહેલો ઘરવખરીનો સામાન પણ વરસાદી પાણીમાં પલળી ગયો છે.

સરકાર પાસે સર્વે અને વળતરની માંગ
આ કુદરતી હોનારત બાદ સેંજળ ગામના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે હતાશા જોવા મળી રહી છે. અસરગ્રસ્તોએ માંગ કરી છે કે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેતીપાક અને મિલકતને થયેલા નુકસાનનો સંયુક્ત સર્વે કરવામાં આવે. પાયમાલ થયેલા ખેડૂતો અને જેમના ઘરને નુકસાન થયું છે તેમને વહેલી તકે આર્થિક સહાય ચૂકવવામાં આવે. હાલમાં તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.




