વાસ્તુ વિશેનાં સૌને સતાવતાં સવાલોનાં સંતોષકારક જવાબ…
સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ
– રાજેશ ભટ્ટ
પ્રશ્ર્ન 1: ઓફિસની અંદર મુખ્ય ટેબલની ગોઠવણી કેવી રીતે કરવી?
ઉત્તર: કામ કરતી વખતે આપનું મુખ પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા તરફ રહે તે રીતે ટેબલની ગોઠવણી કરવી, પરંતુ એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે આપની પીઠની પાછળ સ્ટ્રોંગ દીવાલ હોવી જોઈએ, આપની ચેરની પાછળ બારી ન હોવી જોઈએ. આજકાલ વિદ્યાર્થીઓ માટે પણ બોર્ડની પરીક્ષાો ચાલી રહી છે તો તેમણે પણ પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખી અભ્યાસ કરવો જોઈએ.
પ્રશ્ર્ન 2: વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતો ફક્ત ભારતમાં જ લાગુ પડે કે વિદેશની ભૂમિ પર પણ તેની અસર થાય?
ઉત્તર: વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતની અસર વિશ્ર્વના દરેક દેશમાં તેના ગોળાર્ધ અને ભૌગોલિક પરિસ્થિતિઓને અનુરૂપ થાય જ. પંચમહાભૂત અને વાતાવરણની સીધી અસર પૃથ્વીના દરેક ભાગમાં જોવા મળતી હોય છે. દરેક દેશમાં તેની અસરો વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, મારા દેશ-વિદેશના પ્રવાસમાં મેં જોયું કે વિદશમાં વસતાં ભારતીયો જ નહીં પણ અન્ય લોકો પણ વાસ્તુને અનુરૂપ બાંધકામ કરતાં હોય છે. મનુષ્યોના શારીરિક-માનસિક વિકાસ માટે અનુરૂપ બાંધકામની રચના અને તેના માપ પ્રમાણની માહિતી વાસ્તુનાં મૂળ ગ્રંથોમાં આપવામાં આવેલી છે, અને તે નિયમો મુજબ બાંધકામ વિશ્ર્વમાં ક્યાંય પણ કરી શકાય છે.
- Advertisement -
પ્રશ્ર્ન 3: અમોએ એક નવો ફ્લેટ ખરીદ્યો છે, હવે તેમાં વાસ્તુ મુજબ બધી ગોઠવણી કેવી રીતે કરી શકાય?
ઉત્તર: હાલના સમયમાં આ સમસ્યા સૌથી વધારે જોવા મળે છે કે લોકો બંગલા માટે પ્લોટ કે રેડીમેઈડ ફ્લેટ પહેલાં ખરીદી લે છે અને પછીથી તેનું વાસ્તુ અનુરૂપ કરવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવિકતા એ છે કે કોઈપણ પ્લોટ કે મિલ્કતની ખરીદી કરતાં પહેલાં આપના નજીકના વાસ્તુ સલાહકારને બતાવી ત્યારબાદ તેની ખરીદી કરવી, કેમ કે સામાન્ય વાસ્તુ નિયમ ન જાણતો માણસ પ્લોટ કે ફ્લેટની આજુબાજુની મિલ્કતો કે જગ્યાની અસર અનુભવી નહીં શકે જે એક્સપર્ટ જોઈ શકશે. જો કોઈ વાસ્તુદોષવાળી મિલ્કત કે પ્લોટની આપ ખરીદી કરી લેશો તો પછીના તબક્કે ફકત રેમેડિયલ વાસ્તુ વિકલ્પ બચશે અને વાસ્તુ સિદ્ધાંતોનો આપ પૂરો લાભ નહીં મેળવી શકો, તેથી મિલ્કત ખરીદતા પહેલાં વાસ્તુ ચેક કરવું સારૂં રહેશે.
પ્રશ્ર્ન 4: અમો બે ભાઈઓ છીએ તથા અમારા બંનેના ઘર એક સરખા છે, તથા બાજુ-બાજુમાં છે, પહેલા અમારા બંનેના ઘર વચ્ચે નાની પાર્ટીશન દીવાલ હતી જે અમોએ થોડા સમય પહેલાં કાઢી નાખી છે, ત્યાર બાદ ઘરમાં થોડી અશાંતિ અને શારીરિક વ્યાધિ રહે છે, તો શું આ દિવાલ કાઢવાની અસર હોઈ શકે?
ઉત્તર: એક વાત સમજીએ કે ઊર્જાની ગતિ બાઉન્ડ્રી વોલની અંદર થયેલાં બાંધકામ કે પ્લોટની ખૂલ્લી જગ્યામાં સંપૂર્ણપણે થશે જ. હવે જ્યારે બે અલગ-અલગ ઘરની ગોઠવણી અને બાઉન્ડ્રી વોલ અલગ-અલગ છે ત્યારે બંને ઘરને વાસ્તુની અસર અલગ-અલગ થશે, પરંતુ જેવી આપ વચ્ચેની દીવાલ હટાવશો તુરત જ એ બંને ઘરની એનર્જી એકબીજામાં મર્જ (ભળી) થશે અને એક જ ઘરમાં બે કિચન કે બે સીડી જેવા પ્રશ્ર્નો ઉપસ્થિત થશે અને તેના પરિણામે વાસ્તુદોષ સંભવી શકે. હંમેશા એક વાત યાદ રાખવી આજુબાજુના જોડીયા ઘર હોય ત્યારે હંમેશા એક બીજા ઘરમાં જવા માટે બહારથી મુખ્ય દરવાજાનો જ ઉપયોગ કરવો, વચ્ચેની બાઉન્ડ્રી વોલમાં ક્યારેય ગેપ કે દરવાજો ના બનાવવો જોઈએ.
પ્રશ્ર્ન 5: મારે ઓફીસમાં એકાઉન્ટની ટીમ માટે કેબીન બનાવવી છે તો કઈ દિશામાં તે બનાવવી?
ઉત્તર: ઓફિસની અંદર એકાઉન્ટ ટીમ માટે ઈશાન ખૂણો કે ઉત્તર દિશામાં કેબીન બનાવવી જોઈએ.
- Advertisement -
પ્રશ્ર્ન 6: મારા ઘરનો મુખ્ય દરવાજો નૈઋત્ય ખૂણામાં છે તો તેની કોઈ નકારાત્મક અસર આવી શકે?
ઉત્તર: વાસ્તુની અંદર નૈઋત્ય ખૂણો એટલે પશ્ર્ચિમ અને દક્ષિણ દિશા વચ્ચેના આ ખૂણા પર પૃથ્વી તત્ત્વનો પ્રભાવ છે, આ ખૂણામાં રહેલ મુખ્ય દરવાજો અણધાર્યા અને સતત ખર્ચાઓ આપે છે, સ્થિરતાનો અભાવ રહે, ઘરમાં અચાનક આર્થિક નુકસાન કે ઘરમાં ચોરી થવી જેવા અનેક પ્રસંગો બની શકે, ઘરની મુખ્ય વ્યક્તિને સતત ચિંતા રહેવા પામે, શક્ય હોય તો આપ પશ્ર્ચિમ-વાયવ્યમાં નવો દરવાજો બનાવી નૈઋત્ય ખૂણાનો દરવાજો બંધ રાખવો.
પ્રશ્ર્ન 7: ઘરમાં મીઠા (સોલ્ટ)ના પાણીના પોતા અને ધૂપ કરવો ખૂબ જરૂરી છે કે ના કરીએ તો ચાલે?
ઉત્તર: એક ઉદાહરણથી સમજીએ તો હંમેશા સારી ઊર્જા સારી ઊર્જાને આકર્ષે અને નબળી ઊર્જા નબળી ઊર્જાને આકર્ષે, જેવી રીતે રસોડામાંથી આવતી સારી સુગંધ આપણી ભૂખને જાગૃત કરે છે, અને કચરાના ઢગલામાં આવતી દુર્ગંધથી આપણે નાક બંધ કરી દઈએ છીએ, મીઠાના પાણીના પોતાથી નકારાત્મકતા દૂર થાય છે, અને ગૂગળ કે અન્ય શુભ દ્રવ્યોના ધૂપથી સારી ઊર્જા જગ્યામાં પ્રવેશ કરે છે, તેથી શક્ય હોય તો ધૂપ અને મીઠાના પાણીના પોતા નિયમિત કરવા.