ઝવેરચંદ મેઘાણીના મોટા પુત્રનું અવસાન
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતી ભાષાના પ્રખર સાહિત્યકાર અને ગુજરાતમાં ગ્રંથના ગાંધી તરીકે ઓળખાતા ભાવનગર લોકમિલાપ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ મેઘાણી નું ગઈકાલ રાત્રે ભાવનગર ખાતે નિધન થયું છે. આજે ગુરુવારે સવારે ભાવનગર શહેરના તેમના નિવાસ્થાન ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. શ્રી મહેન્દ્રભાઈ ઝવેરચંદ મેઘાણીનું અવસાન ગઈકાલ રાત્રે 8 વાગે ભાવનગર ખાતે થયું હતું. આ સમાચાર થી સાહિત્ય જગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ‘લોકમિલાપ’ના સ્થાપક સંપાદક મહેન્દ્ર મેઘાણી ગુજરાતમાં ગ્રંથના ગાંધી બિરુદ પામ્યા હતા અને 96 વર્ષની ઉંમર સુધી પણ લેખન – વાચનમાં યથાશક્તિ વ્યસ્ત રહ્યા હતા. ઝવેરચંદ મેધાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીએ જાળવી રાખ્યો હતો ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે નિધન થતા ભાવનગર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
- Advertisement -
મહેન્દ્રભાઈને જ્યારે પણ મળીએ ત્યારે યાદોની પોટલી ખૂલે તો એમાં નામો ય કેવાં કેવાં હોય, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર સાહેબની વાતો-સાંભળેલી નહીં એમણે પોતે જે રીતે આ મહાનુભાવોને અનુભવ્યા હોય તે વાતો…
2003માં મહેન્દ્રભાઈ મેઘાણી રાજકોટ આવ્યા ત્યારે પંચનાથ મંદિરની પાછળની શેરીમાં ગૌતમભાઈ પારેખના બહેનોના ઘરે ઉતર્યા હતા. રેણુકાબહેન અને તેમના બે બહેનોની ઉપસ્થિતિમાં હું મહેન્દ્રભાઈને મળવા ગયો અને પહેલી જ છાપ કેવી પડી, રેણુકાબહેને કહ્યુ: મહેન્દ્રભાઈ જમીને પોતાના વાસણ પોતે જ સાફ કરી નાંખે હો. મહેન્દ્રભાઈ એક જ ક્ષણમાં બોલી ઊઠ્યા: મારું જમવાનું પણ હું પોતે જ જમું છું ને એ વાતો પછીનો ઈન્ટરવ્યૂ તો સાંજ સમાચાર વર્તમાનપત્રમાં છપાયો અને મારાં પુસ્તક મજાના માણસને મળવાની મજામાં પણ સમાવ્યો પરંતુ ફક્ત વાંચન, પ્રકાશન, સંપાદન એમની ઓળખ નહોતી. એમનું પોતાનું જીવન કેટલું પ્રેરક હશે તેનું આ દૃષ્ટાંત હતું.
એ પછી તો એમના ભાવનગરના નિવાસ સ્થાન-મિલાપની પાછળ ફળિયામાં એમને મળવાનું થયું. છેલ્લે 2022ના મે માસમાં ભાવનગરમાં એમના નવા નિવાસ સ્થાને મળ્યો. ચિત્રલેખામાં ઈન્ટરવ્યૂ પ્રકાશિત થયો. એ સમયે તો ન લખ્યું પરંતુ આજે કહું, પહેલી કોપી 2800 શબ્દોની થઈ હતી. એટલી જગ્યા તો ક્યાંથી હોય, મેં જ કોપી એડિટ કરી, 2200, 1800 છેલ્લે 1500 આસપાસ શબ્દો છપાયા. તે સમયે મહેન્દ્રભાઈના પુત્ર ગોપાલભાઈને મેં કહ્યુ હતું કે મહેન્દ્રભાઈ વિશેનો આર્ટીકલ સંક્ષેપ કર્યા વગર કેમ છપાય, સંક્ષેપનો કસબ મહેન્દ્રભાઈને હાથવગો હતો.
- Advertisement -
અડધી સદીની વાંચન યાત્રા તો પુસ્તક સ્વરુપે આવી અને નવી પેઢી આ વાંચનના જુના જોગીને ઓળખતી થઈ. એમનું આ કાર્ય તો 1950ની 26મી જાન્યુઆરીથી મિલાપના માધ્યમથી શરુ થયું હતું. પ્રગાઢ વાંચન અને જ્ઞાનનો કોઈ ભાર મન ઉપર કે મોઢાં ઉપર નહીં. મહેન્દ્રભાઈને જ્યારે પણ મળીએ ત્યારે યાદોની પોટલી ખૂલે તો એમાં નામો ય કેવાં કેવાં હોય, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર સાહેબની વાતો-સાંભળેલી નહીં એમણે પોતે જે રીતે આ મહાનુભાવોને અનુભવ્યા હોય તે વાતો. ગાંધીજીને લગ્ન પછી મળવા ગયા અને ઝવેરચંદ મેઘાણીનો અવાજ ગાતાં-ગાતાં થોડો ખરડાયો તો ગાંધીજીએ મહેન્દ્રભાઈને ઈશારો કર્યો કે તું ગા. નહેરુ સાથે તો મહેન્દ્રભાઈએ વિદેશ પ્રવાસ કરેલો ત્યારે ક્રુઝ પર તેઓ એકલા બેઠા હતા ત્યાં નહેરુ પહોંચ્યા અને નાનો સંવાદ થયો. સરદાર સાહેબ મોર્નિંગ વોકમાં જતા હતા ત્યારે મહેન્દ્રભાઈએ એમને નોકરીની મૌખિક અરજી કરી હતી.
આવી ઘણી બધી વાતો આજે સ્મરણના સંપૂટમાંથી બહાર આવી રહી છે. ઘંટી દળતાં દળતાં મહેન્દ્રભાઈને આ વાંચનની-પ્રકાશનની કેટલી બધી યોજનાઓ સૂઝી હતી. ઘરનું દળવાનું ખૂટી જાય તો પાડોશીઓનું અનાજ લાવીને દળી આપે. ભારત છોડો વખતે ટ્રેનના પાટા ઉથલાવવાનું પરાક્રમ કરનાર મહેન્દ્રભાઈએ કેટલા બધા લોકોની વાંચનની ગાડી પાટે ચડાવી. કેવા કેવા સંપાદનો આપ્યાં, કેટલા અનુવાદો. ગિજુભાઈ સાથે વાંચનયાત્રા, સ્વામી આનંદ સાથે વાંચન યાત્રા…
બહુ ઓછાં લોકોને ખબર હશે કે એમણે પોતે કોઈ એવોર્ડ, સન્માન સ્વીકારવા ઇનકાર કર્યો હતો. કોઈ પદ્મશ્રી વગેરે માટે વાત પણ કરે કે રસ્તા – ચોકને નામ આપવાની વાત કરે તો સ્પષ્ટ ઈનકાર. અને પછી હસતા હસતા કહે, સમાજ તો ભૂલ કરે એમાં એને આપણે સાથ ન અપાય. ભાવનગરમાં બાળકોને ફિલ્મ જોતાં કરનાર મહેન્દ્ર મેઘાણી પણ વર્ષો સુધી યાદ રહેશે. જવલ્લે જ મળે એવું જીવંત વ્યક્તિત્વ. છેલ્લે 2022ના મે માસમાં હું એમને મળ્યો ત્યારે સ્મૃતિ પહેલાં જેવી ધારદાર નહોતી. મારી વાતો-પ્રશ્નો સાંભળીને કહે, આપણે મોડા મળ્યા. મેં કહ્યું તમે ભૂલી ગયા. હું તમને અગાઉ ત્રણ વાર મળ્યો છું. પછી ભલામણ કરી, ગોપુભાઈને મળતા રહેજો. બીજી વાર અહીં આવજો. હા, હવે આવશું તો ખરા પરંતુ મળવાનું ગોપુભાઈને જ થશે. જો કે મહેન્દ્રભાઈ પોતે કંઈ નહીં બોલે પરંતુ એમના સંપાદનો, પ્રકાશનો, અનુવાદો તો ગૂંજશે સદાય.
(જવલંત છાયાની ફેસબૂક વોલ પરથી સાભાર)