શીંદે, ફડણવીસ, પવાર વચ્ચે ખાનગી ચર્ચાથી અનેક અટકળો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
- Advertisement -
મહારાષ્ટ્રમાં એનડીએની મહાયુતિ સરકારમાં રાજકીય સંકટના ભયથી વિપક્ષો જોરદાર રીતે રાજકીય અટકળો ચલાવી રહ્યા છે. આ સાથે જ ભાજપના ઘણા નેતાઓ સમીક્ષા માટે દિલ્હી જવા રવાના થયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ રાજયના બંને ઉપમુખ્યમંત્રી સાથે બેઠક કરતા અટકળોને વેગ મળ્યો હતો.
મહારાષ્ટ્રની લોકસભા ચૂંટણીમાં ભાજપને ઓછી બેઠો મળતા વિવાદનાં વમળો ઉઠયા હતા. તેના કારણે સાથી પક્ષો તરફ પણ આંગળી ચીંધવામાં આવી રહી હતી. તેમાં સાથી પક્ષોને કેન્દ્રમાં પૂરતું પ્રતિનિધિત્વ નહીં મળતા ચણભણાટ પણ શરૂ થયો હતો. હવે વિપક્ષો દ્વારા અનેક અટકળો વહેતી કરાઈ રહી છે.
તેમાં ભાજપના ઘણા નેતાઓ સમીક્ષા બેઠકમાં ભાગ લેવા દિલ્હી જવા રવાના થયા હોવાનું બહાર આવ્યું છે. આ પછી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ રાજયના બંને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર સાથે બેઠક કરી હતી.
જો કે આ બેઠકમાં કયા કયા મુદાઓ પર ચર્ચા થઈ છે તે સ્પષ્ટ થઈ શકયું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધન પાર્ટીઓની નબળી બેઠક પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાયબ મુખ્યપ્રધાનો સાથે તેમના સતાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે બેઠક યોજી હતી. અજિત પવારે બેઠક છોડયા બાદ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ થોડા સમય સુધી બેઠકમાં ચાલુ રહ્યા હતા.ભાજપના ટોચના હોદેદારોએ લોકસભા ચૂંટણીમાં પક્ષના દેખાવ અંગે સમીક્ષા બેઠક માટે પક્ષના રાજય સ્તરના નેતાઓને બોલાવ્યા છે. ભાજપ અવારનવાર પ્રદેશ કક્ષાના પક્ષના નેતાઓ સાથે આવી બેઠકો યોજે છે.તાજેતરમાં સમાપ્ત થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શનને કારણે રાજીનામું આપવાની ઓફર કરી હતી. આ દરમિયાન ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેઓ રાજય વિધાનસભાની ચૂંટણી સુધી પાર્ટી માટે ફુલ ટાઈમ કામ કરવા માંગે છે.