ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાની લોધીકા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સુધાબેન કિશોરભાઈ વસોયાએ પોતાની સત્તાની ઉપરવટ જઈને લોધિકાના ચાંદલી નાકા વિસ્તારમાં આવેલ જુના ગામતળના બાર પ્લોટ અને થોરડી રોડ પર આવેલ નવા ગામ તળના બે મળીને કુલ 14 પ્લોટ હરાજીથી વેચી નાખ્યા હોવાથી તેને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57(1) મુજબ હોદા પરથી દૂર કરવાની માગણી લોધીકાના આગેવાન મુકેશભાઈ પરસોતમભાઈ કમાણી દ્વારા જિલ્લા પંચાયતમાં કરવામાં આવી હતી.
- Advertisement -
જિલ્લા પંચાયત દ્વારા આ અંગે તપાસ હાથ ધરીને સુધાબેન કિશોરભાઈ વસોયાને સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય ભૂતકાળમાં લીધો હતો. પરંતુ આ નિર્ણય સામે તેમણે અપીલ કરતાં આ કેસ રિમાન્ડ પર લેવાયો હતો. રિમાન્ડ પર કેસ લેવાયા પછી બંને પક્ષકારોને સાંભળી, આધાર પુરાવાઓ ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનદુ સુરેશ ગોવિંદે સરપંચ સુધાબેનને અધિકાર ન હોવા છતાં હરાજીથી જમીનના 14 પ્લોટ વેચી નાખવા બાબતે અને ગામ તળના એક પ્લોટમાં સબ પ્લોટિંગ કરી દસ્તાવેજ કરી આપવા બદલ હોદ્દા પરથી દૂર કર્યા છે.
જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના હુકમમાં જણાવ્યું છે કે સરપંચ સુધાબેન વહીવટી ગેરરીતિ, દૂરવર્તન, અધિકારોનો દુરુપયોગ, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવું, સત્તા બહારના કૃત્યો માટે સરપંચ તરીકે સત્તાનો દુરઉપયોગ કરેલ હોય ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ પોતાની ફરજો બજાવવામાં અસમર્થ રહ્યા હોવાથી તેને હોદા પરથી દૂર કરવામાં આવે છે. જો આ હુકમથી નારાજ થયેલ વ્યક્તિ હુકમની જાણ થયાની તારીખથી 30 દિવસની અંદર અધિક વિકાસ કમિશનરને અપીલ કરી શકશે.