ખાસ-ખબર ન્યૂઝ ઈં આયર્લેન્ડ, તા.21
આયર્લેન્ડના ભારતીય મૂળના વડાપ્રધાન લિયો વરાડકરે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી સૌને ચોંકાવી દીધા હતા. તેમના રાજીનામાની જાહેરાતથી સમગ્ર દેશને આંચકો લાગ્યો હતો અને સવાલો પણ ઊઠ્યાં કે આખરે તેમણે કેમ રાજીનામું આપી દીધું? 45 વર્ષીય લિયો વરાડકરે તેમના રાજીનામા પાછળ અંગત અને રાજકીય કારણો દર્શાવ્યા હતા. તેમણે કહ્યું કે હાલમાં હોદ્દો છોડવાના મારા કારણો અંગત અને રાજકીય છે, પરંતુ મુખ્યત્વે રાજકીય છે. કાર્યાલયમાં સાત વર્ષ બાદ મને નથી લાગતું કે હવે હું વડાપ્રધાન પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિ છું.
- Advertisement -
લિયો વરાડકરે કહ્યું કે હું માનું છું કે આગામી વર્ષની સામાન્ય ચૂંટણીમાં મારી પાર્ટી ફાઈન ગેલ માટે બેઠકો જીતવા મારા કરતાં સારો એવો નવો નેતા શોધી લેવામાં સફળ થશે. ઉલ્લેખનીય છે કે આયર્લેન્ડના વડાપ્રધાનને ’તાઓસીચ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કહ્યું કે સ્થાનિક યુરોપિયન ચૂંટણી લડનારાઓ વફાદાર સાથીદારો અને સારા મિત્રો છે અને હું તેમને શક્ય તેટલી શ્રેષ્ઠ તક આપવા માંગુ છું. વ્યક્તિગત સ્તરે મને તાઓસીચ હોવાનો આનંદ આવ્યો. જો કે, રાજકારણીઓ માણસ છે અને અમારી પણ મર્યાદા છે. અમે તેને બધું આપીએ છીએ એ પણ ત્યાં સુધી જ્યાં સુધી આપણી ક્ષમતાથી બહાર ન હોય અને પછી આપણે આગળ વધવું પડે છે.
લિયો વરાડકરનો જન્મ મુંબઈમાં જન્મેલા પિતા અને આઇરિશ માતાને થયો હતો અને તેઓ 2017 થી ફાઇન ગેલ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ સાથે તેમને દેશના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન બનવાની તક મળી. લીયો વરાડકરે 2017 થી બે વાર ’તાઓસીચ’નું પદ સંભાળ્યું છે. તેઓ 2017 થી 2020 વચ્ચે પહેલીવાર અને ડિસેમ્બર 2022 થી અત્યાર સુધી બીજી વખત વડાપ્રધાન પદ સંભાળી રહ્યા હતા.