રાજકોટમાં ક્રાઈમ રેટ ઓછો બતાવવા અગાઉ અરજી લેવાનું જ ચલણ હતું, હવે ખુરશીદ અહેમદે FIR નોંધવા પર ભાર મૂક્યો છે.
તેમણે સાયબર સેલમાં સંખ્યાબળ વધારી દીધું, ફુટમાર્ચ કાઢી અને બીજાં અનેક પગલાં લીધાં
સખીયા બંધુ, મુનિરા, ગોવિંદભાઈ પટેલ, મનોજ અગ્રવાલ, વિરલ ગઢવી…. આ બધાં નામોથી હવે રાજકોટ પોલીસ જોજનો દૂર નીકળી ગઈ છે. તોડકાંડ વિવાદ પછી રાજકોટ પોલીસ પર ઘેરાયેલા હતાશાનાં વાદળો હવે વીખેરાઈ રહ્યાં છે. અરજીઓને બદલે FIR નોંધાઈ રહી છે. છાપેલ કાટલાં જેવાં લેન્ડ માફિયાઓની અવરજવર કમિશનર કચેરીમાં સદંતર બંધ થઈ ગઈ છે. અને આ બધાનું કારણ છે: ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ. રાજકોટનાં પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો એ પછી તેમણે અનેક લોકોપયોગી નિર્ણયો લીધાં છે. અગાઉ રાજકોટમાં ક્રાઈમ રેટ નીચો બતાવવા ફકત અરજી લેવાનું જ ચલણ હતું અને પોલીસ FIR નોંધવાનું ટાળતી હતી. ખુરશીદ અહેમદે દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના આપી છે કે, જરૂર લાગે ત્યાં FIR અચૂક નોંધવી. ચાર્જ સંભાળતાંવેંત જ તેમણે સાયબર ક્રાઈમમાં જરૂરી સ્ટાફ મૂક્યો- ત્યાં સ્ટાફની ભયંકર તંગી હતી. આ ઉપરાંત તેમણે અનેક પેધી ગયેલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી, શહેરીજનોમાં પોલીસ પ્રત્યે વિશ્ર્વાસ પુન:સ્થાપિત કરવા માટે ફૂટમાર્ચનું આયોજન કર્યું. બીજી તરફ તેઓ અરજદારોને પૂરેપૂરો સમય ફાળવી રહ્યાં છે. અગાઉનાં પોલીસ કમિશનર સામે એક ફરિયાદ એ પણ હતી કે, તેઓ રાજકોટમાં બહુ ઓછી હાજરી આપે છે. જ્યારે ખુરશીદ અહેમદ પૂર્ણ સમય ફાળવે છે.
રાજકોટને ખુરશીદ અહેમદ જેવાં ઠરેલ કમિશનરની જરૂર
રાજકોટે એકદમ ચાલું પ્રકારનાં અને શઠ કહેવાય તેવાં અનેક પોલીસ કમિશનર નિહાળ્યા છે. હવે, શહેરને એકદમ ઠરેલ અને મેચ્યોર્ડ પોલીસ કમિશનરની જરૂર છે. ખુરશીદ અહેમદને જો ગાંધીનગરથી ગ્રીન સિગ્નલ મળે તો તેઓ પણ ત્રીજું નેત્ર ખોલીને અત્યંત કડક કાર્યવાહી કરી શકે છે.