મોદીની ગેરંટીઓની ટીકા કરી દિલ્હીના સીએમે કટાક્ષ કર્યો- તેમણે દરેકના ખાતામાં 15 લાખ જમા કરવાનું કહેલું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
વચગાળાના જામીન પર છુટેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ લોકસભા ચૂંટણી વચ્ચે પુરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે. કેજરીવાલે દેશવાસીઓને 10 ગેરંટી આપી છે, જેમાં ગરીબોને મફત વીજળી, દરેક ગામ અને મહોલ્લામાં કલીનીક, અગ્નિવીર યોજના બંધ કરવી, ભ્રષ્ટાચારના વોશિંગ મશીનને છડેચોક તોડવું અને મફત શિક્ષણ જેવી ગેરંટીઓ સામેલ છે.
પાર્ટીના મુખ્યાલયમાં રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, મારી આ ગેરંટીઓને લઈને ઈન્ડિયા ગઠબંધનના બાકી સાથીઓ સાથે ચર્ચા નથી થઈ પણ મને વિશ્વાસ છે કે ગઠબંધનની સરકાર બન્યા બાદ આ ગેરંટીઓને બધા સાથીઓ પાસે પુરી કરાવીશ. કેજરીવાલે જણાવ્યું હતું કે, આજકાલ મોદીની ગેરંટીની ચર્ચા છે પણ તેમની ગેરંટી કેવી છે તે બધા જાણે છે. કેજરીવાલે એક-એક કરીને આ ગેરંટીને ગણાવી હતી. તેમણે કહ્યું હતું. મોદીએ 15 લાખ રૂપિયા દરેક વ્યક્તિના ખાતામાં જમા કરાવાશે તેવી ગેરંટી આપી હતી. દર વર્ષે 2 કરોડ રોજગારી આપશે, સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરી ખેડુતોને ખેતી પાકના દામ આપશે. ખેડુતોની આવક બે ગણી થઈ જશે. આજે મોદીની ગેરંટીઓને લઈને બધા દેશવાસીઓ જાણે છે.