૧૦૮ ની ટીમેં ઘાયલના પરિવારજનોને ૨ મોબાઈલ અને રૂ. ૧૦ હજાર સહિતનો મુદ્દા માલ પરત કર્યો
રાજકોટ તા. ૪ ઓક્ટોબર – ૧૦૮ ની ટીમ ઘાયલ લોકોને પ્રાથમિક સારવાર અને દર્દીઓને ઇમર્જન્સીમાં હોસ્પિટલ સુધી પહોંચાડવાની સાથોસાથ માનવતા અને ઈમાનદારી સાથે નૈતિક ફરજ નિષ્ઠાની મિશાલ પણ પુરી પાડતા હોઈ છે. ખાસ કરીને અકસ્માતમાં ઘાયલ દર્દી કે જેમનું કોઈ હાજર નથી હોતું તેવા દર્દીઓની સાથે રહેલો મુદ્દામાલ લઈ તેમના પરિવારજનોને સહીસલામત પહોંચાડવાની જવાબદારી પણ તેઓ નિભાવતા હોઈ છે.
ગત શનિવારના રોજ માલિયાસણ પાસે ગીતાબેન પરમાર ટુ વહીલર પર જતા હતા ત્યારે રસ્તામાં ગાય આડી ઉતરતા તેને બચાવવા જતા અકસ્માતે પડી ગયા હતાં. તેઓને અકસ્માત થતા ૧૦૮ ની ટીમને બોલાવવામાં આવી હતી. ઈ.એમ.ટી. જગદીશભાઈ બાવળીયા અને પાયલોટ જયપાલસિંહ પરમાર ૧૦૮ વાન લઈ તુર્તજ ઘટના સ્થળે પહોંચી મહિલાને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતાં.
- Advertisement -
ઈ.એમ.ટી. જગદીશભાઈના જણાવ્યા મુજબ મહિલા પાસે આશરે રૂ. ૩૦ હજારની કિંમતના બે મોબાઈલ તેમજ રૂ. ૧૦ હજાર જેટલી કિંમતની રોકડ હતી. જે તેઓએ તેમના પુત્રને ફોન કરી રૂબરૂ બોલાવી બાઈકની ચાવી, રોકડ સહિતનો તમામ મુદ્દા માલ પરત કરી તેઓની ફરજનિષ્ઠાના દર્શન કરાવ્યા હતાં.
આ તકે તેમના પુત્રએ ૧૦૮ ની ટીમનો આભાર માન્યો હતો. તેમજ ૧૦૮ પ્રોજેક્ટના ઇમર્જન્સી એક્ઝિક્યુટિવ વિરલ ભટ્ટે ટીમના સભ્યોને અભિનંદન પાઠવી તેઓની નૈતિક ફરજ નિષ્ઠાને બિરદાવી હતી.



