ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ શહેરમાં ગત રોજ પડેલા વરસાદે મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં નવા રસ્તા બનાવવાની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાથી ઠેર-ઠેર કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આ ગંભીર સ્થિતિ મુદ્દે વિપક્ષી નેતા લલિત પરસાણાએ મનપાના શાસકો અને અધિકારીઓ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે.
શહેરના અંબિકા નગર અને ગીરીરાજ રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓની હાલત એટલી હદે બિસ્માર છે કે તાજેતરમાં ચેટીચંડ નિમિત્તે યોજાનારી બાઈક રેલી પણ રદ કરવાની ફરજ પડી હતી. રસ્તાઓ પર પડેલા ખાડા અને કાદવને કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી આ નિર્ણય લેવાયો હતો, જે શાસકોની વિકાસની વાતો સામે મોટા સવાલો ઉભા કરે છે. વિપક્ષી નેતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચોમાસાને હવે ગણતરીના બે મહિના બાકી છે, ત્યારે શું મનપા તમામ જગ્યાએ રોડ બનાવી શકશે? હાલમાં ખોદેલા રોડ એક-બે મહિના સુધી રિપેર થતા નથી, જ્યારે હજુ અનેક વિસ્તારોમાં તો હજી કામ શરૂ જ કરાયું નથી. રૂ. 270 કરોડના બજેટમાંથી વોર્ડ દીઠ માત્ર રૂ. 1 કરોડ જેવી રકમ ફાળવતા મોટાભાગના રસ્તાઓ ચોમાસા પહેલા બનવા અશક્ય છે. મનપાની વિવિધ શાખાઓ વચ્ચે સંકલનના અભાવે જૂનાગઢની જનતા પીસાઈ રહી છે. એક તરફ રસ્તા ખોદવામાં આવે છે અને બીજી તરફ તેનું પૂરાણ કે ડામરકામ સમયસર થતું નથી. જો આ સ્થિતિ રહેશે તો આગામી ચોમાસામાં જૂનાગઢના લોકોની હાલત ભયંકર થશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. શાસકોની વિકાસ પ્રત્યેની ઉદાસીનતાને કારણે શહેરના મુખ્ય માર્ગોથી લઈને રહેણાંક વિસ્તારોમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



