135 નિર્દોષ લોકોના ભોગ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે એક માસ પૂર્ણ!
ગોઝારી દુર્ઘટનામાં તપાસના નામે સરકારનું નર્યું નાટક
- Advertisement -
ચૂંટણીના ચકરાવામાં 135 નિર્દોષ લોકોના જીવ હોમાયા તે ગોઝારી ઘટના ભુલાવા લાગી
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર દેશને હચમચાવી નાખ્યો તેવી મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે જોકે 135 નિર્દોષ લોકોના ભોગ લેનારી આ ગોઝારી દુર્ઘટના ચૂંટણીના માહોલ વચ્ચે ભુલાઈ રહી છે તો બીજી તરફ સરકારે પણ અત્યાર સુધીમાં કોઈ નક્કર કાર્યવાહી પણ કરી નથી અને ઘટનાને એક મહિનો વીતી ગયા બાદ પણ મૃતકોના પરિવારજનો હજુ ન્યાય ઝંખી રહ્યા છે. ગત તારીખ 30 ઓક્ટોબરની સાંજે 6:30 વાગ્યા આસપાસ મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન ઝુલતો પુલ તુટી જતા 135 લોકોના મોત નિપજ્યા હતા જેના પરિણામે આખા શહેરમાં માતમ છવાયો હતો. આ ગોઝારી દુર્ઘટનામાં 50 બાળકોથી લઈ 135 લોકોના મોત થયા હતા તો અનેક લોકોને ઈજા પહોંચી હતી. દેશ દુનિયાને હચમચાવી નાખનારા ઝૂલતા પુલની દુર્ઘટનાની આજે પ્રથમ માસિક પુણ્યતિથિ છે ત્યારે કમનસીબે આ ગોઝારી દુર્ઘટનામાં તપાસના નામે સરકાર દ્વારા નર્યું નાટક જ કરવામાં આવ્યું છે તે હકીકત છે. ચૂંટણીના શોરબકોરમાં આ મોટી દુર્ઘટના લોકોમાં ભુલાઈ ગઈ છે જો કે ભોગ બનનાર પરિવારોને આ ગોઝારી દુર્ઘટના જીવનભર ભુલી શકાશે નહીં કારણકે કોઈકના પાપે તેમને પરિવારજન ગુમાવવાનો વારો આવ્યો છે.
- Advertisement -
જયસુખ પટેલ સુધી પહોંચવામાં સરકારનો પન્નો ટુંકો પડ્યો!
સરકારે ત્વરિત કાર્યવાહી બતાવવા માટે દુર્ઘટનાના બીજા જ દિવસે ફરિયાદ નોંધી લીધી હતી. બાદમાં ઓરેવાના મેનેજર, રીનોવેશનનું કામ લેનાર પેટા કોન્ટ્રકટર સહિતના 9 લોકોની અટકાયત પણ કરી હતી જો કે એક મહિનો થયો છતાં વાત આનાથી આગળ વધી જ નથી. આ ઝૂલતા પુલને મોટા ડીંગા મારીને ખુલ્લો મૂકીને સસ્તી પ્રસિદ્ધિ મેળવનાર ઓરેવાના જયસુખ પટેલ સુધી પહોંચવામાં સરકારનો પન્નો ટૂંકો પડ્યો છે. એફએસએલ રિપોર્ટમાં ઓરેવાની અનેક ગંભીર બેદરકારી સામે આવી છતાં આગળની કોઈ કાર્યવાહી થઈ જ નથી તો બીજી તરફ જયસુખ પટેલ વિદેશ ભાગી ગયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે જ્યારે ચીફ ઓફિસરને પણ સસ્પેન્ડ કરી એક વખત નિવેદન માટે બોલાવી સંતોષ માની લેવામાં આવ્યો છે.
ગોઝારી દુર્ઘટનાને ભૂલાવવા નેતાઓએ ઘણી મથામણ કરી!
આ ઉપરાંત ઘટના બાદ માત્ર ચાર જ દિવસમાં ચૂંટણી જાહેર થતાં મોરબી શહેરમાં ચૂંટણીનો માહોલ જોરશોરથી જામી ગયો હતો અને આ એક મહિના દરમિયાન જાણે નેતાઓએ આ ઘટનાને ભુલાવવા મથામણ કરી અને સભાઓમાં સહાનુભૂતિ, સંવેદનાનું મોજું ઉભું કરવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો એટલું જ, બાકી તો આવી કોઈ ઘટના બની હતી કે કેમ તે હતભાગીઓના ઘરે જવાથી જ ખ્યાલ આવે !
રાજકીય પક્ષો ચૂંટણીમાં વ્યસ્ત !
દુર્ઘટનાના ચોથા દિવસે ચૂંટણી જાહેર થઈ જતાં રાજકીય પક્ષો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા અને તમામ નેતાઓ મત માંગવા દોડતા થયા હતા જો કે કોઇએ પીડિતોની પીડા જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો. મૃતક લોકોના પરિવારજનો હજુ ન્યાય ઝંખી રહ્યા છે પરંતુ એક પણ પક્ષના નેતાઓ ન્યાયની લડાઈ માટે સક્રિય જોવા મળ્યા નથી.