જાણીતા મીડિયા હાઉસ ઉપરાંત ફાયનાન્સર અગ્રવાલ ગ્રુપ, ઇસ્કોન ગ્રુપના પ્રવિણ કોટક, જતીન ગુપ્તા પણ આવકવેરાની ઝપટે: કુલ 35થી વધુ સ્થળોએ સર્ચ કાર્યવાહી
મુંબઇ, અમદાવાદ, સુરત, રાજકોટથી 400થી વધુ અધિકારીનો કાફલો જોડાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આવકવેરા વિભાગ દ્વારા ગુજરાતમાં વધુ એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોય તેમ અમદાવાદ અને મુંબઇમાં જાણીતા મીડિયા ગ્રુપ ઉપરાંત ટોચના ફાયનાન્સર અને બિલ્ડર ગ્રુપ ઉપર આજે સવારથી મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. બંને શહેરોમાં 3પથી વધુ સ્થળોએ એકસામટી સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખળભળાટ સર્જાયો છે. કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
આવકવેરા વિભાગના આધારભુત સુત્રોએ જણાવ્યું હતું કે મુંબઇ ઇન્કમટેક્ષ દ્વારા સમગ્ર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અમદાવાદ તથા મુંબઇમાં એકસામટા 35 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં 400થી વધુ અધિકારીઓના કાફલાને સામેલ કરવામાં આવ્યો છે.
મુંબઇ, અમદાવાદ, સુરત તથા રાજકોટથી પણ અધિકારીઓને દરોડા માટે તેડાવવામાં આવ્યા હતા અને સવારથી જુદી જુદી ટીમો અલગ અલગ ઠેકાણા પર ત્રાટકી હતી. હિસાબી સાહિત્યથી લઇને અનેકવિધ ડિજિટલ તથા ફિઝીકલ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. દરોડા કાર્યવાહીમાં કોઇ વિઘ્ન ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.
સુત્રોના કહેવા પ્રમાણે અમદાવાદમાં જાણીતા મીડિયા હાઉસને ઝપટે લેવામાં આવ્યું છે અને તેના ડઝનથી વધુ ઠેકાણા પર તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત મુંબઇની ઓફિસે પણ તપાસ હોવાનું બહાર આવ્યું છે.
- Advertisement -
આ સિવાય બીટકોઇનથી માંડીને બોન્ડ ટ્રેઝરી સહિતના ફાયનાશ્ર્યિલ ક્ષેત્રમાં મોટુ નામ ધરાવતા અને જાણીતા ફાયનાન્સર તરીકે ગણના પામતા અગ્રવાલ જુથને પણ સર્ચ કાર્યવાહીમાં નિશાન બનાવવામાં આવ્યું છે.
અરૂણ અગ્રવાલ સહિતના સંચાલકોના નિવાસ તથા ઓફિસો પર સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જાણીતા બિલ્ડર ઇસ્કોન ગ્રુપના પ્રવિણ કોટક, જતીન ગુપ્તા વગેરે પણ ઇન્કમટેક્ષની ઝપટે ચડયા છે અને તેઓના નિવાસ સ્થાન તથા ઓફિસો પર અધિકારીઓના કાફલાએ દરોડા કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રોના કહેવા પ્રમાણે જુદા જુદા 35 જેટલા સ્થળોએ સવારથી દરોડા શરૂ કરવામાં આવ્યા હતા. નિવાસસ્થાન, ઓફિસો, પ્રોજેકટ સ્થળ જેવા સ્થાનોને નિશાન બનાવાયા છે અને જુદા જુદા રેકોર્ડની તપાસણી હાથ ધરવામાં આવી છે. ત્રણ-ચાર દિવસ દરોડા કાર્યવાહી ચાલુ રહેશે અને કરોડો રૂપિયાની કરચોરી પકડાવવાની શકયતા છે.